07 March, 2015 04:14 AM IST |
સ્વચ્છ ભારત મિશન સાથે ગ્રામીણ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યોજનાના અંતર્ગત અગાઉની UPA સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી હાલની હાઉસિંગ સ્કીમને સામેલ કરવામાં આવશે. આ મિશન હેઠળ સરકાર આગામી ૭ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ ૬૦૦ લાખ ઘરો બાંધશે. દેશની લગભગ ૭૦ ટકા ગ્રામીણ વસ્તી ધરાવતા આ દેશમાં ઇન્દિરા આવાસ યોજનાને સ્થાને શરૂ કરવામાં આવનાર નૅશનલ ગ્રામીણ આવાસ મિશન (ગ્રામ) ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો બાંધવા માટે માર્ગદર્શક યોજના પુરવાર થશે.
સરકાર કુલ ૬ કરોડ ઘરો બાંધશે, જેમાંનાં બે કરોડ શહેરી વિસ્તારોમાં તથા બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં રહેશે. આ માટે સરકારે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે ઇન્દિરા આવાસ યોજનાને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા સહિત તમામ હાઉસિંગ યોજનાઓને નાણાકીય ભંડોળ પૂરું પાડવાના ઉપયોગમાં લેવાશે. જોકે શહેરી હાઉસિંગ યોજના રાજીવ આવાસ યોજના માટે કોઈ પણ પ્રકારની નાણાકીય સહાયની ફાળવણી કરવામાં આવી નથી. દરેક ઘરને પાણી તેમ જ વીજળી પૂરી પાડવામાં આવશે. નાણાંની અછતને કારણે પેન્ડિંગ રહેલી આ દરખાસ્ત હેઠળ આગામી ૭ વર્ષમાં ૩ કરોડ ઘર બાંધવા માટે ૩.૪૫ લાખ કરોડનું ભંડોળ આવશ્યક રહેશે, જે જોતાં પ્રતિ વર્ષ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજાય છે.