પાલિકાના આઈસોલેશન વોર્ડમાં કામ કરતા આ ડૉક્ટરને ખરેખર સલામ છે

13 May, 2020 08:04 PM IST  |  Mumbai | Rachana Joshi

પાલિકાના આઈસોલેશન વોર્ડમાં કામ કરતા આ ડૉક્ટરને ખરેખર સલામ છે

ડૉ. પ્રજોત પરમાર

કોરોના વાયરસ (COVID-19)ને કારણે આખો દેશ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને સહુ કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે નીચલા વર્ગની પરીસ્થિતિ સૌથી વધુ દયનીય છે. આમ તો સરકાર સહુ કોઈનો વિચાર કરી રહી છે છતા ક્યાંક કંઈક છુટી જતુ હોવાનો અનુભવ મુંબઈ સેન્ટ્રલમાં રહેતા 27 વર્ષીય હોમિયોપેથિક ફિઝિશયન પ્રજોત પરમારને થયો અને તેણે સમાજ માટે કંઈક કરવાનું બીડું ઝડપયું.

કાંદિવલીના સાર્વજનિક હોમિયોપેથિક ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર પ્રજોત પરમાર અત્યારે નાગપાડામાં આવેલી પાલિકાની આંખની હૉસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં કોરોનાના દર્દીઓની સેવા કરે છે અને સાંજે કરે છે સમાજસેવા. પાલિકાના સફાઈ કર્મચારીઓ, પોલીસો અને તેમના  પરિવારજનો ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને તેમના માટે સેફ્ટીની સુવિધાઓ પણ નથી. એટલે ડૉ. પ્રજોતે તેમના માટે કંઈક કરવાનું નક્કી કર્યું.

ડૉ. પ્રજોત પરમારે ગુજરાતી મિડડે.કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલિકાના સફાઈ કર્મચારીઓ અને સ્વચ્છતા વિભાગના કર્મચારીઓ બહાર દિવસ રાત કામ કરતા હોવાથી તેમાન પરિવારને કોરોનાનો ખતરો વધુ છે. તે જ રીતે પોલીસકર્મીઓના પરિવારને પણ સહેલાઈથી ચેપ લાગવાની શક્યતા છે. મોટા ભાગના પાલિકાના કર્મચારીઓ ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહે છે. એટલે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે તેઓ યોગ્ય ઈલાજ કરાવી શકતા નથી. તેમજ શિક્ષણનો અભાવ હોવાને લીધે તેઓને સ્વચ્છતા વગેરેનું જ્ઞાન પણ ઓછું હોય છે. એટલા માટે જ મે તેમને આ વાયરસની ચપેટમાં આવતા રોકવાનું બીડું ઝડપયું છે. જ્યાં સુધી કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે રોગપ્રતિકારક શક્તિ મજબુત બને. એટલે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથિક દવા બહુ અસરકારક હોય છે. આયુષ મંત્રાલય દ્વારા ઘણા ઉપાયો સુચવવામાં આવ્યા છે. તેમાં હોમિયોપેથિક પણ એક ઉપાય છે. જો 'આર્સેનિકમ આલ્બમ 30'ની ચાર ગોળી મહિનામાં ત્રણ દિવસ ખાલી પેટે લેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલે જ અમે લોકોને આ દવાનું વિતરણ કરવાનું નક્કી કર્યું.

દરરોજ સાંજે આઈસોલેશન વોર્ડની ડયુટી પુરી કર્યા બાદ ડૉ. પ્રજોત પરમાર જુદા જુદા સ્લમ વિસ્તારોમાં જઈને ત્યાના લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવે છે અને હોમિયોપેથિક દવાની વહેચણી પણ કરે છે. અત્યાર સુધી તેઓ 2,000 કરતા વધુ પરિવારને દવાની વહેચણી કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં ગ્રાન્ડ રોડની ગાસ ગલીમાં 100 પરિવારને, મુંબઈ સેન્ટ્રલની બીટીટી ચાલમાં 200 પરિવારને, ચિંચપોકલી ડૉક્ટર કમ્પાઉન્ડમાં 100 પરિવારને, આર્થર રોડ પાસે શાંતિનગર અને રામદેવ નગરના સ્લમ વિસ્તારમાં પણ વહેચણી કરવામાં આવી હતી. તે સિવાય બીઆઈટી ચાલના 1,360 પરિવારને અત્યાર સુધીમાં વહેચણી કરવામાં આવી છે.

લોકોને દવા વહેચતા ડૉ. પ્રજોત પરમાર

લોકોને હોમિયોપેથિકની દવા આપ્યા બાદ તેમનામાં શું ફરક દેખાય છે તે વિષે ડૉ. પરમારે કહ્યું હતું કે, ફક્ત દવા આપી દઈએ ત્યાં જ અમારું કામ પુરું નથી થઈ જતું. દવા આપ્યા બાદ અમે રેગ્યુલરલી તેના અપડેટ્સ લેતા રહીએ છીએ. કે તેમને શું ફરક પડયો. સમાજસેવાના આ કાર્યમાં મને મારા મમ્મી, પપ્પા અને પરિવારનો બહુ જ સપોર્ટ છે. ઘરે દવા બનાવવાથી માંડીને દરેક વસ્તુમાં તેઓ મરી મદદ કરે છે. એટલું જ નહીં મારા કાર્યમાં સહકાર આપવા મારા અનેક મિત્રો પણ આગળ આવ્યા હતા. જેઓ મને નાગરિકોને દવા આપ્યા બાદ તેના ફોન દ્વારા અપડેટ લેવામાં મદદરૂપ થાય છે. તે સિવાય લોકો સુધી પહોચવા માટે મને સ્થાનિક નગરસેવકો, પંચાયતના પ્રમુખ વગેરેની મદદ મહત્વની ભુમિકા ભજવે છે.

જ્યારે દેશ મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, સરકાર અનેક પગલા લઈ રહી છે ત્યારે મારે પણ મારા સમાજ માટે કંઈ કરવું જોઈએ એ જ હેતુતી મેં આ કાર્ય શરૂ કર્યું છે અને હું બને તેટલા લોકો સુધી આ હોમિયોપેથિક દવા પહોચાડી શકું તેવી મારી ઈચ્છા છે, એમ ડૉ. પ્રજોત પરમારે કહ્યું હતું.

coronavirus covid19 mumbai mumbai news