19 January, 2021 08:25 AM IST | Mumbai | Rajendra B Aklekar
ગઈ કાલે રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે રોડ સેફ્ટી પર શરૂ કરેલી એક મહિનાની ઝુંબેશના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા
રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે રોડ સેફ્ટી પર એક મહિનાની ઝુંબેશ શરૂ કરી છે, જેનું ઉદ્ઘાટન પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કર્યું હતું. જોકે ટીકાકારોના મતે આ વર્ષમાં માત્ર એક વાર કરવામાં આવતી ઝુંબેશ છે, વર્ષભર બીજી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ વધતા જતા માર્ગ અકસ્માત સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં સૌથી વધુ માર્ગ અકસ્માત નોંધાવનારાં ટોચનાં ત્રણ રાજ્યોમાં સામેલ મહારાષ્ટ્રમાં કુલ ૧૧,૪૫૨ મૃત્યુ નોંધાયાં છે.
જોકે પરિવહન નિષ્ણાતો અને ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એક મહિનો ચાલતી આ ઝુંબેશ માત્ર એક વાર્ષિક કાર્યક્રમ બનીને રહી ગઈ છે. વર્ષ દરમ્યાન આ તમામ વાતો ભુલાઈ જાય છે.
હકીકત એ છે કે આરટીઓ પાસે નિયમપાલન સખતાઈથી કરાવવા સ્ટાફની અછત છે. આરટીઓનો સ્ટાફ ડેસ્ક વર્કમાં વ્યસ્ત હોય છે. વર્ષમાં એક વાર ઝુંબેશ વખતે જ તેઓ ઍક્ટિવ થાય છે.
તેમના આ પ્રકારના વલણને કારણે આ ઝુંબેશ માત્ર વાર્ષિક શો બનીને રહી ગઈ છે. આ પ્રકારની કાર્યવાહીને રોકીને જનતાનાં નાણાંનો વ્યય થતો અટકાવવો જોઈએ એમ મુંબઈ મોબિલિટી ફોરમ ઍન્ડ મુંબઈ વિકાસ સમિતિના વરિષ્ઠ પરિવહન નિષ્ણાત અજિત શેણોયે જણાવ્યું હતું.
મુંબઈ ટ્રાન્સપોર્ટ ફોરમના જિતેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે હજી સવારે જ મેં ટ્રાફિકની સમસ્યા વિશે ટ્વીટ કર્યું હતું. આરટીઓનું કાર્ય જુદું છે અને વાસ્તવિક સમસ્યા જુદી જ છે. આ બન્નેનો કોઈ જ મેળ નથી.