24 May, 2022 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેશ ટોપે
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ સોમવારે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ જોતાં કોરોનાની ચોથી લહેર આવવાની કોઈ સંભાવના નથી. પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં રોજના ૨૦૦થી ૨૫૦ કેસ નોંધાય છે અને એમાં ખાસ વધારો થયો નથી.
તેમણે કહ્યું હતું કે ‘કોરોનાનો રિકવરીરેટ ઘણો સારો છે અને મહારાષ્ટ્રમાં રસીકરણથી ઘણું સારું પરિણામ જોવા મળ્યું છે. આથી મને લાગે છે કે હાલની સ્થિતિમાં ચોથી લહેર આવવાની કોઈ સંભાવના નથી.’
કોરોનાવિરોધી રસીનો બૂસ્ટર ડોઝ દરેક માટે ફરજિયાત છે કે કેમ એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે બૂસ્ટર ડોઝ ફરજિયાત નથી, પણ હેલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કર્સ, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સિનિયર સિટિઝનોને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યા છે. જોકે કેન્દ્ર સરકારની આવી કોઈ માર્ગદર્શિકા ન હોવાથી અમે દરેક માટે બૂસ્ટર ડોઝ ફરજિયાત નથી કર્યો એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.