ઘાટકોપરના ધમધમતા વિસ્તારમાં ભરબપોરે બંધ ઘરમાંથી ચોરી

22 November, 2014 06:44 AM IST  | 

ઘાટકોપરના ધમધમતા વિસ્તારમાં ભરબપોરે બંધ ઘરમાંથી ચોરી



ગઈ કાલે બપોરે દવેપરિવારની ગેરહાજરીનો લાભ લઈને અજાણ્યા માણસો દિવસના સમયે ઘરની બારી અને ગ્રિલ તોડીને કબાટમાંથી અંદાજે પાંચ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં ચોરી ગયા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે ચોરી થયા પછી મોડી રાત સુધી ફિંગરપ્રિન્ટવાળા ન આવતાં પરિવારના લોકો બેડરૂમનો ઉપયોગ નહોતા કરી શક્યા. દવેપરિવારે ફિંગરપ્રિન્ટવાળા ક્યારે આવશે એ જાણવા પંતનગર પોલીસ-સ્ટેશનમાં ચક્કર ખાવાં પડ્યાં હતાં.

જેમના ઘરમાં ચોરી થઈ છે તે સુરેશ દવે ભારતીય જનતા પાર્ટીની વૉર્ડ-નંબર ૧૨૭ની નગરસેવિકા ફાલ્ગુની દવેના દિયર છે. ઘાટકોપર (વેસ્ટ)ની પ્રખ્યાત મીઠાઈ અને ફરસાણની દુકાનમાં કૅશિયર તરીકે કામ કરતા સુરેશ દવે તેમના ઘરે આવેલા મહેમાનની વિદાય કરીને તેમના રોજિંદા કાર્યક્રમ પ્રમાણે જમીને બપોરે બાર વાગ્યે દુકાનમાં ગયા હતા. ત્યાર પછી દોઢ વાગ્યે તેમનો દીકરો સૌરભ કે જે પંતનગરમાં જ ઇમ્પોર્ટેડ કોલસાનું કામ કરે છે તે ઘરે જમવા આવ્યો હતો. જમવા આવ્યો ત્યારે સૌરભને ઘર અંદરથી બંધ જોતાં નવાઈ લાગી હતી. તેની પત્ની સવારે નોકરીએ જતી રહે છે.

આ માહિતી આપતાં સૌરભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરવાજો અંદરથી બંધ જોતાં મેં તરત જ પપ્પાને ફોન કયોર્ હતો. તેમણે કહ્યું કે તેઓ દરવાજો ફક્ત બહારથી જ બંધ કરીને આવ્યા છે. એટલે મેં પાછળ જઈને જોયું તો બેડરૂમની બારી અને ગ્રિલ તૂટેલી હતી. અંદર કબાટ ખુલ્લા હતા. એમાંથી બધાં જ ઘરેણાં ગાયબ હતાં. બધો જ સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. તરત જ પોલીસને ઇન્ફૉર્મ કર્યું હતું. પંતનગર પોલીસ આવી ગઈ, પણ મોડી રાત સુધી ફિંગરપ્રિન્ટવાળા નહોતા આવ્યા.’

પાડોશી જ ચોર હોવાની શંકા


દવેના ઘરમાંથી ગઈ કાલે ઘરફોડી થયા પછી પોલીસે એ જ બિલ્ડિંગમાં રહેતા એક બાવન વર્ષના કચ્છીની પૂછપરછ માટે ધરપકડ કરી હતી. આ માણસે ચાર વર્ષ અગાઉ આ જ બિલ્ડિંગના રહેવાસીની ગેરહાજરીમાં ઘરફોડી કરી હતી, જેની માલમતા વેચવા જતાં તે પોલીસના હાથમાં ફસાઈ ગયો હતો. આ માણસની અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં ચારથી વધુ કેસમાં ધરપકડ થઈ છે. બિલ્ડિંગમાંથી લોકો તેને બહાર કાઢવા ઇચ્છે છે, પણ કાયદો તેમને સાથ નથી આપતો એવી ફરિયાદ ‘મિડ-ડે’ સમક્ષ પાડોશીઓએ કરી હતી. ગઈ કાલે દવેપરિવારની ફરિયાદ પછી જેવો પંતનગર પોલીસે સતીશ ઠક્કર ઉર્ફે સતીશ તન્નાને બિલ્ડિંગમાં જોયો કે તરત તેને હિરાસતમાં લીધો હતો, પણ મોડી રાત સુધી તેણે ગુનો કબૂલ નહોતો કર્યો.

એક પણ કેસ ઉકેલાયો નથી?

પંતનગર, ઘાટકોપર, વિક્રોલી પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનની હદમાં આ જ પ્રકારના ચોમાસાથી અત્યાર સુધીમાં અનેક વાર ઘરફોડીના બનાવ બન્યા છે. આ ચોરીઓ એવી સિસ્ટમથી થાય છે કે પોલીસ ક્યારેક તો આ બનાવમાં પરિવારના સભ્યો પર જ શંકા કરે છે. જ્યારે લોકો આના માટે ચોરો રેકી કરતા હશે એવી શંકા સેવે છે. મોટા ભાગના બનાવો જે ઘરના લોકો ફિક્સ સમયે કામે કે તેમનાં બાળકોને સ્કૂલમાં લેવા-મૂકવા જતા હોય એ સમયે જ થયા છે. હજી સુધી એક પણ ઘરફોડીનો કેસ ઉકેલવામાં પોલીસ સફળ થઈ નથી.