ચિંતામણિના વિઘ્નહર્તાએ વધારી દીધી લોકોની ચિંતા

29 August, 2022 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભૂતપૂર્વ ક્રાઉડની વચ્ચે ચિંચપોકલીચા રાજાના આગમન વખતે ચોરોને મળી ગયું મોકળું મેદાન : શનિવારે બાપ્પાને વેલકમ કરવા ગયેલા ૭૬થી વધુ ગણેશભક્તોએ નોંધાવી મોબાઇલ, પાકીટ અને સોનાની ચેઇન ચોરાયાની પોલીસમાં ફરિયાદ

શનિવારે ‘ચિંચપોકલીચા રાજા’ને વેલ કમ કરવા માટે હજારોની સંખ્યામાં ભેગી થયેલી મેદની (તસવીર : આશિષ રાજે)

મુંબઈના જાણીતા ચિંચપોકલીચા રાજા ગણપતિના આગમનમાં જોડાયેલા ૭૬થી વધુ ગણેશભક્તોએ તેમના મોબાઇલ ફોન ગુમાવ્યા હતા તો કેટલાક લોકોએ પાકીટ તેમ જ સોનાની ચેઇન ગુમાવી હતી. શનિવારે સાંજે આગમનમાં હજારોની સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. બપોરે બે વાગ્યે શરૂ થયેલી આ આગમન યાત્રા ગણેશમૂર્તિ મંડપમાં ન પહોંચી ત્યાં સુધી રાતના ૮ વાગ્યા સુધી ચાલી હતી, જેનો લાભ ચોરોએ ઉઠાવ્યો હતો.

એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આવી ચોરીઓ સામાન્ય રીતે વિસર્જનના દિવસે થાય છે જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ગણેશને વિદાય આપવા માટે લાલબાગમાં ભેગા થાય છે, પરંતુ આ વર્ષે આગમન વખતે જ મોટી ભીડ આવી હતી, કારણ કે છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે લોકો આ તહેવારને માણી શક્યા નહોતા.’

ભૂતકાળમાં પોલીસે ખિસ્સાકાતરુઓની ગૅન્ગને પકડી હતી. જે ખાસ કરીને ભક્તોને નિશાન બનાવવા માટે શહેરમાં આવી હોય. ઝોન-૪ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સંજય પાટીલે કહ્યું હતું કે ‘તહેવારોને નજર રાખીને તમામ ઝોનલ ડિટેક્શન અધિકારી અને સ્ટાફને હરકતમાં આવવા અને ભીડમાં ફરતા ચોરો પર નજર રાખવા જણાવાયું છે.’
    

mumbai mumbai news ganpati ganesh chaturthi mumbai police