14 September, 2026 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગણેશ ચતુર્થી (Ganesh Chatuethi 2026)ના પાવન પ્રસંગે મુંબઈ (Mumbai)ના મેયર રિતુ તાવડે (Ritu Tawde)એ મેયર નિવાસસ્થાને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરીને પર્યાવરણ સુરક્ષાનો વિશેષ સંદેશ આપ્યો છે. આ મૂર્તિ ધોરણ ૨ માં અભ્યાસ કરતા બાળ કલાકાર રીતિક પાસવાન દ્વારા શાડૂ માટીમાંથી હાથથી ઘડવામાં આવી છે. મેયરના આ પગલાંથી નાની વયના આ કલાકારની અદ્ભુત પ્રતિભા પ્રકાશમાં આવી છે, સાથે જ મુંબઈભરમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવાના બીએમસી (BMC)ના અભિયાનને પણ બળ મળ્યું છે.
મુંબઈના ૧૦ દિવસીય ગણેશોત્સવ (Ganeshotsav 2026) માટે પર્યાવરણ સુરક્ષાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં, મુંબઈના મેયર રિતુ તાવડેએ સોમવારે મેયરના સત્તાવાર નિવાસસ્થાને ૧૦૦ ટકા કુદરતી શાડૂ માટીથી બનેલી ગણેશ મૂર્તિની સ્થાપના કરી છે. પરંપરાગત સરકારી પરંપરા અલગ હટીને, આ પ્રતિમા બીજા ધોરણના એક વિદ્યાર્થી દ્વારા હાથથી ઘડવામાં આવી છે, જે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) ના પર્યાવરણપ્રેમી ઉત્સવ ઉજવવાના વ્યાપક અભિયાનને દર્શાવે છે.
આ ગણેશ મૂર્તિ પરંપરાગત શાડૂ માટી (કાંપવાળી કુદરતી માટી) માંથી ઘડવામાં આવી છે અને તેને ઝેરી રસાયણો વિનાના કુદરતી રંગોથી સજાવવામાં આવી છે. મેયરે પરંપરાગત વિધિ અને આરતી સાથે બાપ્પાનું સ્વાગત કર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય હેતુ શાળાના બાળકો અને યુવાનોને ઉત્સવો દરમિયાન પર્યાવરણપ્રેમી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
મેયર તાવડેએ બાળકની અદ્ભુત કલાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, સંપૂર્ણ રીતે બાયોડિગ્રેડેબલ (કુદરતી રીતે ઓગળી જાય તેવી) મૂર્તિ સાથે ગણેશોત્સવ ઉજવવો એ જ ભક્તિ અને પર્યાવરણીય જવાબદારીનું સાચું પ્રતિક છે.
મેયર નિવાસ્થાને મૂર્તિની સ્થાપના ૨૦૨૬ના ઉત્સવ માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વ્યાપક ઉપાયોને અનુરૂપ છે. બીએમસીએ મુંબઈભરમાં ૩૭૮ નિર્ધારિત વિસર્જન સ્થળો તૈયાર કર્યા છે, જેમાં ગિરગાંવ ચોપાટી, જુહૂ બીચ અને પવઈ તળાવ જેવા કુદરતી જળાશયોને પ્રદૂષણથી બચાવવા માટે કૃત્રિમ તળાવોનું નેટવર્ક મોટા પાયે વધારવામાં આવ્યું છે.
નાગરિક સત્તાવાળાઓએ રહવાસીઓ અને સાર્વજનિક મંડળોને પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) ના બદલે શાડૂ માટી અથવા કાગળના માવા (પેપર-પલ્પ) માંથી બનતી મૂર્તિઓ પસંદ કરવા આગ્રહ કર્યો છે, કારણ કે PoP જળચર નિવસનતંત્ર માટે અત્યંત હાનિકારક છે.
પર્યાવરણીય માર્ગદર્શિકાઓની સાથે, મેયર રિતુ તાવડેએ તાજેતરમાં શહેરના મુખ્ય વિસર્જન માર્ગો અને આરોગ્ય માળખાનું નિરીક્ષણ કર્યું હતું. બીએમસીએ ૧૦ દિવસીય ઉત્સવ દરમિયાન ભક્તોની સુવિધા માટે મુખ્ય વિસર્જન સ્થળો નજીક મફત આરોગ્ય તપાસ કેમ્પ, મોબાઈલ મેડિકલ યુનિટ અને ઇમરજન્સી રિસ્પોન્સ પોસ્ટ્સ શરૂ કરી છે.
ઘરે અથવા કૃત્રિમ તળાવમાં વિસર્જન પસંદ કરતા નાગરિકોને બાપ્પાને સુચારુ અને ઈકો-ફ્રેન્ડલી વિદાય આપવા માટે સ્થાનિક સ્તરે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.