જીવદાની માતાનાં દર્શન કરવા થઈ જશે આસાન

17 February, 2021 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવદાની માતાનાં દર્શન કરવા થઈ જશે આસાન

વિરારના જીવદાની મંદિરમાં માર્ચ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં ભક્તોની ફ્યુનિક્યુલર ટ્રેન સર્વિસની આતુરતા પૂર્ણ થવાની છે

પાલઘર જિલ્લા સહિત વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય એવા વિરાર (ઈસ્ટ)ના પ્રખ્યાત જીવદાની માતાના મંદિરનાં દર્શન ભક્તો હવે વધુ સરળતાથી કરી શકશે. મહારાષ્ટ્રની પહેલી હાઈ કૅપેસિટી ધરાવતી ફ્યુનિક્યુલર રેલ સર્વિસની સુવિધા મંદિરના ટ્રસ્ટ દ્વારા માર્ચ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. એને કારણે ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી આતુરતાનો અંત આવશે. આ સુવિધાથી મંદિરમાં પહોંચવા માટે ખૂબ ઓછો સમય લાગશે અને એકસાથે અનેક લોકો દર્શન કરી શકશે. એને કારણે ભક્તોએ આગળ જઈને ભીડનો પણ સામનો કરવો નહીં પડે. 

ફ્યુનિક્યુલર રેલ સર્વિસની આવશ્યકતા કેમ?

મહારાષ્ટ્રમાં આકર્ષણનાં અનેક સ્થળો અને મંદિરો આવેલાં છે. એમાંના મુખ્ય આકર્ષણ અને શ્રદ્વાસ્થાનમાંથી એક વિરારના જીવદાની મંદિરમાં પહોંચવા માટે ૧૪૪૦ પગથિયાં ચડવા પડે છે. મંદિર લગભગ ૮૦૦થી વધુ મીટરની ઊંચાઈએ આવેલું છે. હાલમાં મંદિરે જવા નાની ટ્રૉલીની સુવિધા છે, પરંતુ અહીં ભક્તોની ભીડ એટલા મોટા પ્રમાણમાં હોય છે કે ટ્રૉલી મારફત જવા માટે લાંબી લાઇનમાં બેસવું પડે છે. એમાં પણ ખાસ કરીને નવરાત્રિ, દિવાળી અને દશેરા જેવા તહેવારોમાં બેથી ત્રણ લાખ ભક્તો દર્શન કરવા આ‍વતા હોય છે. જે લોકો વિદેશથી અહીં પહોંચી શકતા નથી તેઓ ઑનલાઇન દર્શન સાથે ડોનેશન મોકલતા હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને ફ્યુનિક્યુલર રેલ સર્વિસની સુવિધા ઊભી કરવામાં આવી છે.

એક વખતમાં કેટલા ભક્તોનો પ્રવાસ?

આવી સુવિધા ખૂબ ઓછી જગ્યાએ છે, પરંતુ વિરારની આ ટ્રેન હાઈ કૅપેસિટી સાથે ઓછા ખર્ચે બનેલી છે. આ પ્રોજેક્ટ માટે ૩૫ કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ થયો હોવાથી જીવદાની દેવી મંદિર ટ્રસ્ટ એ સંપૂર્ણ ખર્ચ ઉપાડશે. રેલ ઇન્ડિયા ટેક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક સર્વિસ કંપની દ્વારા પ્રોજેક્ટનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. જીવદાની દેવી મંદિર ટ્રસ્ટના સચિવ પ્રદીપ તેન્ડુલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટ્રેનમાં એકસાથે ૧૦૪ ભક્તો બેસી શકશે. હાલમાં તો કોવિડના નિયમ પ્રમાણે લોકોને બેસાડવામાં આવશે. એક રાઉન્ડ માટે ટ્રેનને સાત મિનિટ આસપાસ સમય લાગશે અને કલાકની અંદર એ ૧૨ રાઉન્ડ મારશે. દિવસભરમાં ૧૨થી ૧૪ કલાક ટ્રેન દોડી શકશે તેમ જ વીજળી પર ચાલવાની હોવાથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થશે નહીં. દુર્ભાગ્યે કોઈ દુર્ઘટના બની તો ભક્તોને કોઈ નુકસાન થશે નહીં, કારણ કે હાઇડ્રોલિક પદ્વતિથી બ્રેક મારતાં આ ટ્રેન જગ્યા પર જ ઊભી રહી જાય છે. આ પ્રોજેક્ટ પર ખૂબ બારીકાઈથી ધ્યાન અપાયું છે, કારણ કે લાખો ભક્તો એનો ઉપયોગ કરશે.’

ટિકિટનો ભાવ ઓછો રખાશે

શ્રી જીવદાની દેવી સંસ્થાનના વ્યવસ્થાપક નીતિન પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ટ્રેન ડુંગરા પર જશે ત્યારે લોકો પર્યટનનો આનંદ માણી શકશે. એકસાથે ટ્રેન ઉપર-નીચે જશે. હાઈ-ટેક ટ્રેનનો બન્ને બાજુની ટિકિટનો ચાર્જ એકસાથે લેવાશે. ટ્રસ્ટ બને એટલા ટિકિટના ભાવ ઓછા રાખશે જેથી બધા ભક્તો એનો લાભ લઈ શકે. વણી તીર્થસ્થળે આવી ટ્રેન છે, પરંતુ એ ૨૦૦ મીટરનું અંતર કાપે છે અને જીવદાનીમાં ૪૦૦ મીટરનું અંતર કાપશે. હાઈ-ટેક રેલ સર્વિસ હોવાથી એમાં અનેક સુવિધાઓ પણ મળી રહેશે. હાલમાં ટ્રેનની ટ્રાયલ-રન લેવાઈ રહી છે. માર્ચની શરૂઆતમાં ભક્તો માટે આ સેવા શરૂ કરી શકાશે.’

mumbai mumbai news virar