13 August, 2020 07:48 AM IST | Mumbai Desk | Agencies
શરદ પવાર
મારો પૌત્ર પાર્થ પવાર હજી અપરિપક્વ છે અને તેઓ ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ સીબીઆઇને સોંપવાની તેની માગણીને તેઓ બિલકુલ મહત્ત્વ નથી આપતાં એમ જણાવતા એનસીપી સુપ્રીમો શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે મને મહારાષ્ટ્ર પોલીસ અને મુંબઈ પોલીસમાં સંપૂર્ણ વિશ્વાસ છે, જો કોઈ સીબીઆઇ તપાસ કરાવવા ઇચ્છતું હોય તો હું તેનો વિરોધ પણ નથી કરતો એમ તેમણે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું.
૩૪ વર્ષના સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂને તેમના ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ કેસ સંદર્ભે મહારાષ્ટ્ર સરકાર પર કરવામાં આવી રહેલા આક્ષેપોનો તેઓ કોઈ પ્રત્યુત્તર આપવા નથી માગતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો દુઃખ થાય છે, પણ એની મીડિયામાં આટલી બધી ચર્ચા થાય એ યોગ્ય નથી.
હાલમાં તેઓ સાતારા ગયા હતા ત્યાં એક ખેડૂતે પણ તેમને કહ્યું હતું કે અહીં જિલ્લામાં વીસ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી પણ તેની કોઈ નોંધ પણ લેવાતી નથી. પાર્થે ૨૭ જુલાઈએ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખને મળીને સુશાંતસિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ કે એસઆઇટી દ્વારા તપાસ હાથ ધરવાની માગણી કરી હતી.