30 April, 2025 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવાયા રામ
પાકિસ્તાનમાં બેનઝીર ભુત્તોની સરકાર વખતે સંસદસભ્ય રહેલા દિવાયા રામ હાલમાં હરિયાણાના ફતેહાબાદમાં આઇસક્રીમ અને કુલ્ફી વેચીને ગુજરાન ચલાવે છે. પચીસ વર્ષ પહેલાં ૨૦૦૦માં પાકિસ્તાનમાં હિન્દુઓ પરના અત્યાચારથી તંગ આવીને તેઓ પરિવાર સાથે ટૂરિસ્ટ-વીઝા પર ભારત આવ્યા હતા અને અહીં જ રહે છે. પહલગામ હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યા બાદ દિવાયા રામ ચર્ચામાં આવ્યા છે.
તેમના પરિવારમાં ૩૦ મેમ્બર છે જેમાંથી બે મહિલા સહિત ૬ જણને ભારતની નાગરિકતા મળી ચૂકી છે. ૧૯૮૯માં લઘુમતી કોમ માટે અનામત બેઠક પર ચૂંટાઈને સંસદસભ્ય બનેલા અને હાલમાં ૮૦ વર્ષના થયેલા દિવાયા રામ પોતાનું જીવન ભારતમાં જ ગુજારવા માગે છે. તેઓ કહે છે કે સંસદસભ્ય બન્યા બાદ એક છોકરીનું અપહરણ કરવામાં આવ્યા બાદ હું દુખી થયો હતો અને એ ઘટના બાદ મેં રાજીનામું આપી દીધું હતું.
તેમની પચીસ એકર જમીન પાકિસ્તાનમાં છે. તેમના પિતરાઈ ભાઈઓ પણ પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા છે.