27 February, 2022 10:08 AM IST | Mumbai | Vinod Kumar Menon
એનજીઓ ‘પ્રોજેક્ટ રાઇઝ’ની મદદથી પાલઘર જિલ્લાના ભોતાલ પાડામાં શૌચાલયો ઊભાં કરવામાં આવ્યાં છે.
મુંબઈના ભૂતપૂર્વ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) અવિનાશ ધર્માધિકારીએ તેમની ફરજ બજાવી છે અને દાઉદ વહોરા સમુદાયની પરોપકારી પાંખના ‘પ્રોજેક્ટ રાઇઝ’ની મદદથી મુંબઈથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા આદિવાસી ગામમાં આદિવાસીઓ માટે શૌચાલય બનાવીને એની કાયાપલટ કરવામાં મદદ કરી છે.
પાલઘર જિલ્લાના ડાઘેમાં આવેલા ભોતાલ પાડાની વસ્તી લગભગ ૧૩૦ લોકોની છે. તેઓ છેલ્લા સાત દશકથી ખુલ્લામાં ટૉઇલેટ કરતા હતા. હવે અહીં ૧૧ સેલ્ફ-કન્ટેન્ડ શૌચાલયો ઊભાં કરીને પાડાની મહિલાઓ અને યુવતીઓ માટે દિવસના વિષમ સમયમાં પણ ટૉઇલેટ જવાની સુવિધા કરી આપી છે. અહીં રહેતા આદિવાસીઓ કન્યાશિક્ષણને પ્રોત્સાહન આપીને તેમના વિસ્તાર (પાડા)નો વિકાસ કરવા માટે સ્વવિકાસ કાર્યક્રમો અપનાવી રહ્યા છે.
ભોતલ પાડાના ગ્રૅજ્યુએટ યુવાન સચિન પચલકરે કેશવ સૃષ્ટિ નામના એનજીઓની મદદ મેળવીને તેના પાડાના વિકાસનું શ્રેય એસીપી અવિનાશ ધર્માધિકારીને આપ્યું હતું. અવિનાશ ધર્માધિકારી હાલમાં સ્ટેટ પોલીસ ટ્રેઇનિંગ ઍકૅડેમી સાથે સંકળાયેલા છે.
સચિન પચલકરે આ વાતને સવિસ્તર જણાવતાં કહ્યું હતું કે ‘તેઓ વારલી સમાજના છે અહીં તેમનાં ૩૦થી ૩૫ ઘર છે. એમાં કુલ ૧૩૦ જેટલા લોકોની વસ્તી છે. પીવાના પાણીની સુવિધા વિના, ખુલ્લામાં શૌચક્રિયા અને યુવા શાળા અને કૉલેજ છોડી દેનારાઓ માટે કોઈ વિઝન ન હોવાથી તેઓ મોટા ભાગે બેરોજગાર રહેતા હતા. તેઓ વર્ષમાં છ મહિના ડાંગરની ખેતી કરે છે તથા ત્યાર બાદના છ મહિના વસઈ, વિરાર અને પાલઘર વિસ્તારમાં દાડિયા મજૂરો તરીકે છૂટક મજૂરી કરીને કમાણી કરે છે.’