05 January, 2021 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરબાઝ ખાન, સોહેલ ખાન
બૉલીવુડ સ્ટાર્સ અરબાઝ ખાન, સોહેલ ખાન અને અરબાઝ ખાનના દીકરા નિર્વાન ખાન સામે ખાર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાયો છે. ૨૫ ડિસેમ્બરે આ ત્રણે યુએઇથી ભારત પાછા ફર્યા હતા. કોરોના મહામારીના કારણે યુકે, યુએઇ અને યુરોપથી આવનાર દરેક પેસેન્જરે ૭ દિવસ માટે પાલિકાએ નક્કી કરેલા ક્વૉરન્ટીન સેન્ટરમાં રહેવું જરૂરી હોવાનો મુંબઈ મહાનગરપાલિકાનો નિયમ હોવા છતાં તેમણે એનું પાલન કર્યું નહોતું અને ક્વૉરન્ટીન ન થતાં ઘરે ચાલ્યા ગયા હતા. આમ કરી તેમણે પોતાના સહિત અન્યો સામે જોખમ ઊભું કર્યું હતું.
આ વિશે જાણ થતાં મુંબઈ મહાનગરપાલિકાના એચ વૉર્ડના મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. સંજય દત્તાત્રય ફુંદેએ આ વિશે તપાસ કરી હતી. તેઓ બાંદરાના નરગિસ દત્ત રોડ પર સોહેલ ખાનને જઈને મળ્યા હતા અને વિગતો જાણી હતી. સોહેલ ખાને તેમને કહ્યું હતું કે ૨૫ ડિસેમ્બરે તે અને અરબાઝ ખાન, જ્યારે ૩૦ ડિસેમ્બરના નિર્વાન ખાન આંતરરાષ્ટ્રીય અૅરપોર્ટ પર ઊતર્યા હતા. આઇસોલેશનમાં જવા માટે અમે તાજ લેન્ડસ એન્ડમાં રૂમો બુક કરાવી રાખી હતી, પણ ઇન્ટરનૅશનલ અૅરપોર્ટ પર કરાયેલી અમારી કોવિડની ચકાસણીમાં કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી અમે ઘરે ચાલ્યા ગયા હતા.
જોકે નિયમ અનુસાર તેમણે ક્વૉરન્ટીન થવું જરૂરી હતું એથી ગઈ કાલે ખાર પોલીસ સ્ટેશનમાં ડૉ. સંજય દત્તાત્રય ફુંદેએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.