23 February, 2021 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપોળ વિદ્યાનિધિ સ્કૂલ
કોવિડની પરિસ્થિતિમાં પણ ૧૦મા ધોરણની પ્રિલિમ અને ૯મા ધોરણની ફાઇનલ એક્ઝામ ઑફલાઇન લેવાનો હઠાગ્રહ રાખનાર અને સરકારી નિયમોને ચાતરી પોતાનો કક્કો ખરો કરનાર કાંદિવલીની આઇસીએસઈ બોર્ડની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલને આખરે સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપેલી ચીમકી બાદ બ્રહ્મજ્ઞાન લાધ્યું છે અને ઑફલાઇન એક્ઝામ રદ કરી ઑનલાઇન એક્ઝામ લેવાનું ઠેરવ્યું છે. એટલું જ નહીં, દરેક વિદ્યાર્થીના વાલીઓને ઈ-મેઇલ કરીને એ બાબતની જાણ પણ કરી છે. સ્કૂલના નામથી જે સર્ક્યુલર મોકલાવાયો છે એમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની હેલ્થને ધ્યાનમાં રાખીને અમે પરીક્ષાઓ ઑનલાઇન લેવાનો નિર્ણય લીધો છે. જોકે વાલીઓનું કહેવું છે કે અમે તો એક્ઝામ શરૂ થવા પહેલાં જ આ મુદ્દો સ્કૂલ સમક્ષ ઉપાડ્યો હતો, પણ ત્યારે તેમણે આ બાબત પર ધ્યાન નહોતું આપ્યું.
સ્કૂલ દ્વારા લેવાયેલા આ નિર્ણય વિશે માહિતી આપતાં એક વાલીએ કહ્યું હતું કે સ્કૂલ દ્વારા ગઈ કાલે ૯મા ધોરણની બાયોલૉજી અને ૧૦મા ધોરણની ઇંગ્લિશ લીટ્રેચરની એક્ઝામ હતી, પણ આજે સવારે પોણાસાત વાગ્યે વાલીઓને મેસેજ મોકલવામાં આવ્યો હતો કે એક્ઝામ પોસ્ટપોન્ડ કરાઈ છે. અનેક વાલીઓએ એક્ઝામના ટેન્શનમાં એ મેસેજ જોયો પણ નહોતો અને બાળકોને લઈને સ્કૂલ પહોંચી ગયા હતા ત્યારે તેમને પાછા વાળવામાં આવ્યા હતા અને કહેવાયું હતું કે ઑફલાઇન એક્ઝામ પોસ્ટપોન્ડ કરાઈ છે. હવે એે ક્યારે લેવાશે એ તમને પછીથી જણાવીશું. અનેક વાલીઓએ સ્કૂલ દ્વારા લેવાયેલા આ નિર્ણયને આવકાર્યો હતો. તેમનું કહેવું હતું ‘દેર આએ, દુરુસ્ત આએ.’
ત્યાર બાદ સ્કૂલ મૅનેજમેન્ટે નવમા અને દસમાના વિદ્યાર્થીઓના વાલીઓને ઈ-મેઇલ મોકલાવ્યો હતો અને એક્ઝામ કઈ રીતે લેવાશે એની જાણ કરી હતી. ટાઇમ સ્લોટ આપ્યો હતો અને ઇન્સ્ટ્રક્શન્સ પણ આપી હતી. એ ચોક્કસ સમયે વિદ્યાર્થીઓએ લૅપટૉપ કે કૅમેરા ચાલુ રાખી એની સામે બેસીને એક્ઝામ આપવાની રહેશે. કોઈ ગેરરીતિ નહીં ચલાવી લેવાય. જો સ્કૂલને લાગશે કે કોઈ સ્ટુડન્ટ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે તો તેની ઑફલાઇન એક્ઝામ લેવાશે. ટીચર્સ એ સમય દરમ્યાન તેમના લૅપટૉપ પર દરેક વિદ્યાર્થીની એક્ઝામનું ઑનલાઇન ઇન્સ્પેક્શન કરશે. પેપર લખ્યા બાદ તેમણે એ પેપર ફિઝિકલી સબમિટ કરવાનું રહેશે. સ્કૂલ દ્વારા એ માટે બ્લૅન્ક આન્સર શિટ અપાશે, એના પર જ એ જવાબો લખવાના રહેશે. ક્વેશ્ચન પેપર ઑનલાઇન મોકલાવવામાં આવશે.
વસઈ-વિરારમાં પાંચથી નવ ધોરણની સ્કૂલો બંધ
વસઈ-વિરાર મહાનગરપાલિકાએ કોરોનાના પ્રભાવને ધ્યાનમાં રાખીને પાંચથી નવ ધોરણની સ્કૂલ ૨૪ ફેબ્રુઆરીથી આગળના આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય ગઈ કાલે જાહેર કર્યો છે. માસ્ક વગરના લોકો પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ મહાનગરપાલિકાના ક્લીન-અપ માર્શલ સહિત પોલીસ પણ લેશે. ઉપરાંત બાર-રેસ્ટોરાં, હોટેલ, ભોજનાલય વગેરે ૨૪ ફેબ્રુઆરીથી સવારે ૭થી રાતે ૧૧ વાગ્યા સુધી ખુલ્લાં રહેશે.