ફિલ્મમેકર અનુરાગ કશ્યપે બળાત્કારના આરોપોને નકાર્યા

02 October, 2020 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મમેકર અનુરાગ કશ્યપે બળાત્કારના આરોપોને નકાર્યા

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર લગાવેલા બળાત્કારના આરોપ ખોટા હોવાનું જણાવ્યું છે. બળાત્કાર મામલે થયેલી પૂછપરછના એક દિવસ પછી અનુરાગ કશ્યપ તરફથી તેની વકીલ પ્રિયંકા ખેમાણીએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. તેમાં અનુરાગ પર લાગેલા બધા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્ટેટમેન્ટ મુજબ, અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)એ ઓગસ્ટ 2013માં જ્યારે ઘટના ઘટી હોવાનું જણાવ્યું તે સમયે અનુરાગ કશ્યપ દેશની બહાર શ્રીલંકામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

અનુરાગ કશ્યપ તરફથી તેની વકીલ પ્રિયંકા ખેમાણીએ રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, અનુરાગ કશ્યપે તેના દાવા સાથે જોડાયેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ તપાસ અધિકારીને જમા કરાવી દીધા છે. તે પહેલાં ગુરુવારે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગની લગભગ 8 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. તે સવારે 10 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સાંજે 6 વાગ્યા પછી ત્યાંથી નીકળ્યા હતા.

વકીલે રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરેલી FIRમાં અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, ઓગસ્ટ 2013માં મારા ક્લાયન્ટ અનુરાગ કશ્યપે તેને પોતાના ઘરે બોલાવી હતી અને તેનું યૌન શોષણ કર્યું હતું. મિસ્ટર કશ્યપે આ બાબતે પુરાવા તરીકે એ બધા ડોક્યુમેન્ટ્સ સોંપી દીધા છે જેના દ્વારા ખબર પડે કે ઓગસ્ટ 2013માં તે પોતાની ફિલ્મના શૂટિંગ માટે આખો મહિનો શ્રીલંકામાં હતા. કશ્યપે સ્પષ્ટપણે કહ્યું છે કે ક્યારેય આ પ્રકારની કોઈ ઘટના થઇ ન હતી અને પોતાના વિરુદ્ધ લગાવવામાં આવેલા બધા આરોપોને નકારે છે.'

પ્રિયંકા ખેમાણીએ સ્ટેટમેન્ટમાં આગળ જણાવ્યું છે કે, 'ઓગસ્ટ 2013માં થયેલી આ ઘટનાને લઈને અચાનક અને આટલા સમય પછી લગાવવામાં આરોપને ફરિયાદીએ ઘણા મોટા પાયે પ્રચારિત કર્યા છે. જેનો હેતુ અનુરાગ કશ્યપને બદનામ કરવાનો છે. અનુરાગ કશ્યપને ભરોસો છે કે, ખોટી ફરિયાદની હકીકત બધા સામે આવીને રહેશે. ન માત્ર કશ્યપ દ્વારા રજૂ કરાયેલા પુરાવાથી, પણ ફરિયાદી દ્વારા મીડિયામાં વારંવાર બદલવામાં આવેલી ઘટનાક્રમ મારફતે પણ. અનુરાગ કશ્યપ આ વાતને લઈને પણ શંકા રાખે છે કે જ્યારે હવે તેમણે FIRમાં લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવી દીધા છે તો તે તપાસ દરમ્યાન તેમના જણાવેલા ઘટનાક્રમને પણ બદલી શકે છે.'

સ્ટેટમેન્ટમાં વધુમાં જણાવ્યું છે કે, 'અનુરાગ કશ્યપ તેમના પર લગાવવામાં આવેલા ખોટા અને કપટથી ભરપૂર આરોપોથી વ્યથિત છે. સાથે જ આનાથી તેમને, તેમના પરિવાર અને તેમના ફૅન્સને દુઃખ થયું છે. અનુરાગ કશ્યપ પોતાના માટે અવેલેબલ દરેક લીગલ ઉપાયોના ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે. અનુરાગે ઉગ્ર રીતે આવી કોઈપણ ઘટના ઘટી હોવાની વાત નકારી છે, સાથે જ તેમણે ખોટા હેતુની પૂરતી માટે ન્યાય વ્યવસ્થાનો દુરુપયોગ કરીને અને #MeToo આંદોલનને હાઇજેક કરવા બાબતે ફરિયાદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. અનુરાગ કશ્યપ ને વિશ્વાસ છે કે ન્યાય જરૂર થશે.'

22 સપ્ટેમ્બરે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિરુદ્ધ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ ફાઈલ કરાવ્યો છે. અભિનેત્રીનો આરોપ છે કે, અનુરાગ કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશન પર તેનો રેપ કર્યો હતો. અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મ, ખરાબ વર્તન, ખોટા હેતુથી રોકવાનો અને મહિલાનું અપમાન કરવાની ધારાઓ હેઠળ કેસ ફાઈલ થયો છે. આઈપીસીની ધારા 376, 354, 341 અને 342 હેઠળ અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ ગુરુવારે મુંબઈ પોલીસે લગભગ આઠ કલાક ફિલ્મમેકરની પૂછપરછ કરી હતી.

mumbai mumbai news mumbai police versova anurag kashyap