મુલુંડમાં એક જ દિવસમાં પંચાવન કેસ મળતાં ફફડાટ

05 May, 2020 11:47 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડમાં એક જ દિવસમાં પંચાવન કેસ મળતાં ફફડાટ

ફાઈલ તસવીર

મુલુંડમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે જેમાં પંચાવન લોકો કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ૩૬ લોકો એક જ વિસ્તારના છે. મુલુંડ-ઈસ્ટમાં એક ફૅમિલીના ૭ જણને કોરોના પૉઝિટિવ આવતાં અન્ય બીજા ૧૯ દરદીઓ કોરોના પૉઝિટિવ દરદીઓ મળ્યા છે જેને કારણે મુલુંડમાં હાલ સુધીમાં કોરોના વાઇરસના ૧૨૮ કેસ થઈ ગયા છે. જે ૩૬ કોરોના પૉઝિટિવ દરદીઓ મળ્યા હતા એમાંથી ૧૦ લોકો પાલિકાએ રાખ્યા હતા ત્યાંથી ભાગી ગયા છે જેની મુલુંડ પોલીસ શોધ લઈ રહી છે. મુલુંડમાં આજ સુધીમાં ૧૦૦થી વધુ કેસ આવતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

આખા મુંબઈમાં મુલુંડ શરૂઆતમાં સૌથી ઓછા કેસવાળું ક્ષેત્ર હતું જેમાં છેલ્લા એક અઠવાડિયાથી કેસમાં વધારો જોવા મળ્યો છે. મુલુંડ-વેસ્ટમાં આવેલા ઇન્દિરા નગરમાં ગઈ કાલના દિવસમાં ૩૬ કેસ નવા મળી આવ્યા છે. રામગઢ વિસ્તારમાંથી ૬ કેસ સાથે અમર નગર વિસ્તારમાંથી ૩ કેસ મળ્યા છે. આ ત્રણે વિસ્તાર સ્લમ વિસ્તાર છે. મુલુંડ-ઈસ્ટમાં એક જ પરિવારના ૭  સભ્યોને કોરોના પૉઝિટિવ આવ્યો છે. મુલુંડમાં આવેલુ ઇન્દિરા નગર સ્લમ વિસ્તાર ધારાવી જેવું બનવા જઈ રહ્યું છે. કેસ સામે આવતાં સંસદસભ્ય મનોજ કોટક અને મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી કમિશનર બાલમવાર અને પોલીસ અધિકારીઓ સાથે મળી આ વિસ્તારમાં વધતા કેસ કેવી રીતે રોકવા એ વિશે મીટિંગ કરી હતી.

સંસદસભ્ય મનોજ કોટકે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે આ પરિસરમાં કડક નિયંત્રણ ઉપરાંત વધુમાં વધુ મેડિકલ કૅમ્પ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આરોગ્ય સુવિધા માટેની યોજના પણ ઘડી છે. વધુ વાત કરતાં તેમણે જણાવ્યું હતુ કે પાલિકાને આગ્રહ કરી બીજી મેએ ઇન્દિરા નગર વિસ્તારમાં એક મેડિકલ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ૫૪ લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી. એમાંના કેટલાક લોકોમાં લક્ષણ દેખાતાં મુલુંડના એક વિસ્તારમાં આઇસોલેટમાં રાખવામાં આવ્યા હતા જેમાં સોમવારે ૩૬ લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. આમાંની એક વાત એ પણ મહત્ત્વની છે કે આ પૉઝિટિવ આવેલા લોકોમાં ૧૦ દરદીઓ આઇસોલેટ કરવામાં આવેલા સ્થળેથી ભાગી ગયા હતા. પાલિકાના અધિકારી અને પોલીસે મળી આમાંના કેટલાક મળી આવ્યા છે, પણ હજી ૩થી ૪ જણની શોધ કરી રહ્યા છે.

પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મુલુંડમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજેરોજ પાંચથી ૬ કેસ સામે આવી રહ્યા હતા, પણ ગઈ કાલના સામે  આવેલા આંકડાથી અમે પણ ચકિત થઈ ગયા છે. કેસ મળેલા તમામ વિસ્તાર સીલ કરવામાં આવ્યાં છે અને અહીં બીજા લોકોની ટેસ્ટ અમે કરવાના છીએ.

થાણેમાં કોરોનાના ૧૧૮૩ કેસ

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન આ બન્નેમાં ૬૦૦ દરદીઓ કોવિડ-૧૯ની મહામારીની ચપેટમાં છે. જિલ્લાના ત્રીજા સૌથી મોટા કૉર્પોરેશન કલ્યાણ-ડોમ્બિવલીમાં પણ અંદાજે ૨૦૦ જેટલા પૉઝિટિવ દરદીઓ છે.

સ્વાસ્થ્ય અધિકારીએ આપેલી માહિતી અનુસાર રવિવાર રાત સુધી થાણેમાં દરદીઓની કુલ સંખ્યા ૧૧૮૩ હતી, જ્યારે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ૧૯૫ અને થાણેમાં ૩૧૪ અને નવી મુંબઈમાં ૧૭૧ દરદીઓની સંખ્યા હતી.

મીરા-ભાઈંદરમાં ચાર હજાર લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી, જ્યારે ધાન્ય, શાકભાજી, કઠોળ અને ફ્રૂટ જેવી જીવનજરૂરી વસ્તુઓ વેચાઈ રહી છે એવી વાશીની એપીએમસી માર્કેટમાંથી આ વાઇરસ સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. નજીકના પાલઘર જિલ્લામાં પણ દરદીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પાલઘરમાં કોવિડ-૧૯ના દરદીઓની સંખ્યા ૧૭૭ થઈ છે. આમાંથી ૧૦ લોકોનાં મૃત્યુ અત્યાર સુધી નોંધાઈ ગયાં છે.

coronavirus covid19 mehul jethva mulund thane