11 May, 2022 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
મુંબઈ (પી.ટી.આઇ.) : કેન્દ્ર સરકાર ફુગાવાની અને બેરોજગારીની સમસ્યાઓનું નિવારણ કરવામાં સો ટકા નિષ્ફળ નીવડી છે, જ્યારે બીજી તરફ કેટલીક વ્યક્તિઓ અયોધ્યાની મુલાકાત લઈ રહી હોવાના અને પ્રાર્થનાનું પઠન કરવા જેવા મુદ્દાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે એવો એનસીપીના વડા શરદ પવારે મંગળવારે દાવો કર્યો હતો.
અયોધ્યા જવું એ રાષ્ટ્રીય મુદ્દો નથી એમ તેમણે કોલ્હાપુરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૪માં સત્તા સંભાળી ત્યારે એણે લોકોને ફુગાવો અને બેરોજગારી જેવા પ્રશ્નોના નિવારણની ખાતરી આપી હતી, પણ તેઓ સોએ સો ટકા નિષ્ફળ નીવડ્યા છે અને લોકો યોગ્ય સમયે તેમની પાસેથી આની વસૂલાત
કરશે. સામાન્ય માનવી આ સમસ્યાઓથી ઘેરાયેલો છે ત્યારે કેન્દ્રમાં સત્તા
પર બિરાજમાન લોકો આ મુદ્દાઓ પર ધ્યાન આપવા તૈયાર નથી અને લોકોનું ધ્યાન સમસ્યાઓ પરથી હટાવીને ધર્મને લગતી બાબતો પર દોરવા પ્રયાસ કરી રહ્યા છે.’