01 March, 2026 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી થાણે જિલ્લાના રહેવાસીઓ અને વાહનચાલકોને મૉન્સૂન પહેલાં સરળ અને ખાડામુક્ત રસ્તાઓની ખાતરી આપવામાં આવી છે. તાજેતરમાં પૂરી થયેલી જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા આ માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્રને અલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.
એકનાથ શિંદેએ તમામ સંબંધિત એજન્સીઓને ચોમાસા પહેલાંનાં કામોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો અને કડક સમયમર્યાદામાં બાકી રહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કાર્યો પૂરાં કરવાનો નિર્દેશ આપ્યો છે. રોડ ડિપાર્ટમેન્ટને મે મહિનાના અંત સુધીમાં રસ્તાનું સમારકામ, ખાડા ભરવા અને ડામર પૅચવર્ક પૂરું કરવા માટે એક નિશ્ચિત સમયમર્યાદા આપવામાં આવી છે.
થાણે સહિત અન્ય મ્યુનિસિપલ કૉર્પોરેશનને પણ ભારે વરસાદ દરમ્યાન સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે જોખમી ઇમારતો, ખાસ કરીને ક્લસ્ટર પુનર્વિકાસ હેઠળની ઇમારતોનું નજીકથી નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.