06 July, 2024 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ
શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ દ્વારા ઘાટકોપર ગુજરાતી સમાજની પ્રેરણાથી અષાઢી બીજની ઉજવણી કરવામાં આવશે. એમાં મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેશે. ઘાટકોપર-ઈસ્ટના ઝવેરબેન પોપટલાલ સભાગૃહમાં ૮ જુલાઈના સોમવારે સાંજે ૭ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના લોકોને ઘાટકોપર કચ્છ રત્ન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર અને મુંબઈ નૉર્થ ઈસ્ટ લોકસભા બેઠકના ભૂતપૂર્વ સંસદસભ્ય અને લોહાણા સમાજના અગ્રણી મનોજ કોટક હાજર રહેશે.
આ કાર્યક્રમ વિશે શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજના ચૅરમૅન પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાજ દ્વારા વીસ વર્ષથી અષાઢી બીજની ઉજવણીમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારાઓને ઘાટકોપર કચ્છ રત્ન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે જુદાં-જુદાં ક્ષેત્રોના ૯ લોકોની સાથે જીવદયાનું ઉત્તમ કામકાજ કરવા બદલ સંયુક્ત રીતે બે બહેનોને સન્માનિત કરવામાં આવશે.’