16 January, 2021 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈડીની ઑફિસમાં પૂછપરછ માટે ગઈ કાલે હાજર થયેલા એનસીપીના નેતા એકનાથ ખડસે. (તસવીર: પી.ટી.આઈ.)
પુણેમાં ભોસરી ખાતે જમીન ખરીદી મામલામાં એનસીપીના નેતા એકનાથ ખડસે અને તેમની પુત્રી ગઈ કાલે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઑફિસમાં પહોંચ્યા હતા. તેમની ઈડીના અધિકારીઓેએ છ કલાક પૂછપરછ કરી હતી. ઇડીની ઈડીની ઑફિસની બહાર નીકળ્યા બાદ ખડેસેએ કહ્યું હતું કે તેમના પર કોઈ પણ દબાણ નહોતું કરાયું. ઇડીને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે પોતે હાજર થશે.
૨૦૧૬માં પુણેના ભોસરીમાં જમીન ખરીદી મામલામાં ઇડીએ સમન્સ મોકલ્યા બાદ ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે એનસીપીના નેતા એકનાથ ખડસે તેમની પુત્રી શારદા ચૌધરી સાથે ઇડીની ઑફિસમાં પહોંચ્યા હતા. ઇડીના અધિકારીઓએ પિતા પુત્રીની છ કલાક કરતા વધારે સમય સુધી પૂછપરછ કરી હતી.
૫.૩૦ વાગ્યે બંને ઇડીની ઑફિસની બહાર આવ્યા હતા ત્યારે પત્રકારોએ કરેલા સવાલના જવાબમાં એકનાથ ખડસેએ કહ્યું હતું કે ‘અમારા પર ઇડીના ઑફિસરોએ કોઈ પણ દબાણ નહોતું કર્યું. ભવિષ્યમાં પણ ઇડીને જરૂર પડશે તો હું આવીશ. તપાસમાં પૂરો સહયોગ કરીશું. જો કે પૂછપરછમાં ઇડીના અધિકારીઓએ શું પૂછ્યું હતું એ વિશે એકનાથ ખડસે કે તેમના પુત્રીએ કંઈ નહોતું કહ્યું.
એકનાથ ખડસેએ વધુમાં કહ્યું હતું કે ઇડીએ નોટિસ મોકલી હોવાથી અમે અહીં આવ્યા હતા. આ પહેલા બે વખત ભોસરી જમીન ખરીદી મામલામાં ચાર વખત પૂછપરછ થઈ ચૂકી છે. અત્યારે ઇડી દ્વારા પાંચમી વખત આ પ્રકરણમાં તપાસ કરાઈ રહી છે. ઍન્ટી કરપ્શન બ્યુરો, ઈન્કમ ટૅક્સ વિભા અને જોટિંગ કમિટીએ આ પહેલા ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે અધિકારીઓએ કરેલા તમામ સવાલના જવાબ અમે આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે એકનાથ ખડસેના પરિવારજનો દ્વારા પુણેના ભોસરીમાં ૪૦ કરોડમાં ખરીદી કરાયેલી જમીન બાબતે વિવાદ ઊભો થયો છે. આને લીધે એકનાથ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં મહેસૂલ પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ મામલામાં બાદમાં ઍન્ટી કરપ્શન બ્યુરોથી લઈને ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા તપાસ કરાઈ છે. આ તમામ એજન્સીઓએ એકનાથ ખડસેને ક્લિન ચિટ આપી હતી.