07 August, 2020 12:21 PM IST | Mumbai Desk | Vishal Singh
સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી(ફાઇલ ફોટો)
સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહેલી ઈડીએ અભિનેતાના બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાના આરોપને પગલે શુક્રવારે ફિલ્મસ્ટાર રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવા તેને સમન્સ પાઠવ્યું હતું.
ઈડીનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે રિયા ચક્રવર્તી મુંબઈમાં બે પ્રૉપર્ટી ધરાવે છે, જે પૈકીની એક રિયાના નામે અને બીજી તેના પરિવારના સભ્યના નામે છે. ઈડી જાણવા ઇચ્છે છે કે રિયાએ આ પ્રૉપર્ટી કેવી રીતે મેળવી? ઈડીના સૂત્રે જણાવ્યું કે રિયાની પ્રૉપર્ટીના પૈસા કોણે ચૂકવ્યા હતા એ હજી સ્પષ્ટ નથી. આ સંદર્ભે માહિતી મેળવવા ઈડી રિયા પાસેથી જવાબ મેળવવા માગે છે.
મની-લૉન્ડરિંગની તપાસ કરી રહેલાં ઈડીનાં સૂત્રોએ જણાવ્યું કે રિયા ખારમાં બે ફ્લૅટ ધરાવે છે, જે તાજેતરમાં ખરીદવામાં આવ્યા છે. ઈડીએ જણાવ્યા અનુસાર સુશાંત ચાર બૅન્ક-અકાઉન્ટ ધરાવતો હતો. સુશાંતના કોટક મહિન્દ્ર બૅન્ક અને એચડીએફસી બૅન્ક ખાતાંમાંથી રિયાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુશાંતના મોતને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ સુશાંતના પિતા દ્વારા પટના પોલીસમાં દાખલ કરાયેલા એફઆઇઆરના આધારે એફઆઇઆર નોંધાવીને કેસની તપાસ શરૂ કરી છે.