02 July, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારા-ઈસ્ટના અગ્રવાલનગરમાં ૪૧ બિલ્ડિંગો ગેરકાયદે ઊભાં કરી દેવાના સ્કૅમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ આર્કિટેક્ટ અને એન્જિનિયરોનાં ઘરે રેઇડ પાડવાનું શરૂ કર્યું છે.
અગાઉ આ કેસમાં મે મહિનામાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર વાય. એસ. રેડ્ડીના હૈદરાબાદસ્થિત ઘરે રેઇડ પાડવામાં આવી હતી. એ વખતે EDને ૩૨ કરોડ રૂપિયાની કિંમતનું સોનું અને રોકડ મળી આવ્યાં હતાં. આ વખતે વસઈ-વિરાર વિસ્તારમાં કુલ ૧૨ જગ્યાએ રેઇડ પાડવામાં આવશે.
અગ્રવાલનગરમાં ૪૧ બિલ્ડિંગો ગેરકાયદે જણાતાં તોડી પાડવામાં આવ્યાં હતાં. બિલ્ડિંગોનું બાંધકામ ભૂતપૂર્વ કૉર્પોરેટર સીતારામ ગુપ્તાએ કરાવ્યું હતું. એમાં ગેરકાયદે પરમિશન લેવા માટે એન્જિનિયરો અને આર્કિટેક્ટની સંડોવણી સામે આવી હતી. સ્કૅમ બહાર પડતાં જ અમુક આર્કિટેક્ટ્સ દેશ છોડીને ભાગી ગયા છે, જેમણે આ કામ કરવા માટે લાંચરૂપે રોકડ નહીં પણ ગોલ્ડ લીધું હોવાની શંકા છે.