13 October, 2021 09:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિલ દેશમુખ. ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે બુધવારે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું હતું કે “એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમની વિરુદ્ધ કથિત મની લોન્ડરિંગ કેસમાં એવા લોકોના દાવાઓના આધારે કાર્યવાહી શરૂ કરી છે જે પોતે ખંડણી, હત્યા અને ઘૃણાસ્પદ ગુનાઓના આરોપી છે.”
ED સમક્ષ હાજર થવામાં નિષ્ફળ રહેલા દેશમુખે તેમના વકીલ મારફતે જણાવ્યું હતું કે તે આવતી કાલે ED સમક્ષ હાજર થવા માંગતા હતા, પરંતુ એજન્સી તેમની સામે અસહકાર કરી રહી છે.
ED માટે હાજર થયેલા અધિકના સોલિસિટર જનરલ (ASG) અમન લેખીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે “જો દેશમુખ દુર્વ્યવહારનો આરોપ લગાવતા હોય, તો તેમણે આવા લોકોને તેમની અરજીમાં પક્ષકાર તરીકે સામેલ કરવા જોઈએ, જેમના પર તેઓ “ખૂની અને ખંડણીખોર” હોવાનો આરોપ લગાવી રહ્યા હતા.
દેશમુખ તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ વિક્રમ ચૌધરીએ ન્યાયમૂર્તિ નીતિન જામદાર અને એસ.વી. કોટવાલની ખંડપીઠને જણાવ્યું હતું કે “તેમની સામે દલીલો ખોટી છે અને અન્ય રાહતોની સાથે ઈડી દ્વારા એનસીપી નેતાને જારી કરાયેલા સમન્સ રદ કરવામાં આવે. જોકે, લેખીએ નકારી કાઢ્યું હતું કે ફેડરલ એજન્સીની તપાસ ખોટી છે અથવા યોગ્ય પ્રક્રિયાનો ભંગ કરવામાં આવ્યો છે.
લેખીએ કહ્યું કે દેશમુખ કાયદાથી ઉપર નથી અને ED સમક્ષ હાજર થવા અને તેના સમન્સનો જવાબ આપવા માટે જવાબદાર છે. દેશમુખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દલીલ કરવામાં આવી હતી કે ઈડી દ્વારા તેમને જારી કરાયેલા સમન્સ અને કેસની સમગ્ર કાર્યવાહી રદ કરવામાં આવે.
દેશમુખે મની લોન્ડરિંગ વિરોધી એજન્સી સમક્ષ વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની પણ માંગ કરી હતી. તેમણે ED અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને આ કેસમાં તેમની વિરુદ્ધ કોઈ મોટી કાર્યવાહી ન કરવા માટે વચગાળાના નિર્દેશોની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે પોતાની અરજીમાં દેશમુખે હાઇકોર્ટને ઇલેક્ટ્રોનિક રીતે દસ્તાવેજો, નિવેદનો વગેરે રજૂ કરવાની પરવાનગી આપવાની પણ માગણી કરી હતી અને હાઈકોર્ટને વિનંતી કરી હતી કે તે EDને તેની સમક્ષ વાસ્તવમાં હાજર રહેવા બદલ દબાણ ન કરે. દેશમુખે ED ના દાવાને પણ ફગાવી દીધો કે ગૃહમંત્રી તરીકે ફરજ બજાવતી વખતે તેણે પોતાના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને પોલીસ અધિકારી સચિન વઝેએ શહેરના વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાંથી 4.70 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. હાઇકોર્ટે કેસની તમામ દલીલો બંધ કરી દીધી અને દેશમુખની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.