મુચ્છડ પાનવાળાની ડ્રગ્સ કેસમાં પૂછપરછથી જોરદાર ચકચાર

12 January, 2021 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુચ્છડ પાનવાળાની ડ્રગ્સ કેસમાં પૂછપરછથી જોરદાર ચકચાર

મુચ્છડ પાનવાળા

મુંબઈના હાઈ-પ્રોફાઇલ સોસાયટીમાં વેચાતા ડ્રગના રૅકેટનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ શનિવારે પર્દાફાશ કર્યો હતો. એ કેસમાં હવે મુંબઈના જાણીતા પાનવાળા મુચ્છડ જયશંકર તિવારીને સમન્સ મોકલાવીને પૂછપરછ માટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ઑફિસમાં બોલાવ્યો હતો. ગઈ કાલે મોડી રાત સુધી તેની પૂછપરછ ચાલી હતી.

એનસીબીની ટીમે શનિવારે બ્રિટિશ નાગરિક કરણ સજનાની, રાહિલા ફર્નિચરવાલા અને તેની બહેન શાઇસ્તા ફર્નિચરવાલાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૭૫ કિલો ગાંજો, ૧૨૫ કિલો એના જેવું જ અન્ય ડ્રગ જે યુએસથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું હતું એ ઝડપી લેવાયું હતું. જોકે કરણ સજનાનીએ તેની પૂછપરછ દરમ્યાન મુચ્છડ પાનવાલાને પણ આ જ મટીરિયલ સપ્લાય થાય છે એવી વાત કરતાં એનસીબીએ મુચ્છડ પાનવાલા જયશંકર તિવારીને સમન્સ મોકલાવીને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

છેલ્લાં ૪૫ વર્ષથી તળમુંબઈના પૉશ વિસ્તાર કેમ્પ્સ કૉર્નરમાં મુચ્છડ પાનવાલા દુકાન ધરાવે છે અને તેની અન્યત્ર પણ બ્રાન્ચ આવેલી છે. વળી મુચ્છડ પાનવાલા એટલા ફેમસ છે કે તેમને ત્યાં બૉલીવુડ સેલિબ્રિટી, ઇન્ડસ્ટિયલિસ્ટ વેપારીઓ પાન ખાવા આવે છે. વળી પાનવાળા તરીકે પોતાની વેબસાઇટ લૉન્ચ કરનાર પણ તેઓ પ્રથમ પાનવાળા છે.

તપાસમાં જણાયું છે કે રાહિલા ફર્નિચરવાલા જે આ પહેલાં બૉલીવુડ ઍક્ટ્રેસ માટે મૅનેજર રહી ચૂકી છે તે આ ડ્રગ માટે  ફાઇનૅન્સ કરતી હતી, જ્યારે કરણ સજનાની સુશાંત સિંહ રાજપૂત કેસને સંલગ્ન એવા ડ્રગ-કેસમાં સંડોવાયેલો હોવાનું જણાઈ આવ્યું છે.

mumbai mumbai news