અંધેરીમાં નાળામાં પડી ગયેલી મહિલાનો નાટકીય બચાવ

22 January, 2021 10:27 AM IST  |  Mumbai | Mumbai Correspondent

અંધેરીમાં નાળામાં પડી ગયેલી મહિલાનો નાટકીય બચાવ

ગઇકાલે બપોરે અંધેરીના સહાર જંકશન પાસે આવેલા નાળામાં પડી ગયેલી મહિલાને બહાર કાઢતો સામાજિક કાર્યકર.

મુંબઈ: (મિડ-ડે પ્રતિનિધિ) રામ રાખે તેને કોણે ચાખે એ કહેવત અંધેરીમાં સહારા જંકશન સિગ્નલ પર બનેલી દુર્ઘટના પરથી સાબિત થાય છે. જંકશન સિગ્નલ પાસે આવેલા પીએનટી સહારા રોડ નાળામાં એક ગુજરાતી મહિલા અચાનક પડી ગઈ હોવાની માહિતી એક સામાજિક સંસ્થાના કાર્યકતાને મળી હતી. ઘટનાસ્થળે અનેક લોકો ઉપસ્થિત હતા પરંતુ કોઈ બહાર લાવી શક્યા નહોતા. જો કે સંસ્થાના કાર્યકતાએ નાળાની અંદર ઉતરીને ભારે જહેમતે મહિલાને બહાર લાવી રેસક્યુ કરી હતી. એ બાદ મહિલાને પોલીસને સોંપી હતી. પોલીસ મહિલાના પરિવારજનોને શોધી રહી છે અને સંસ્થાએ પણ સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીને મહિલાના પરિવારજનોની શોધ શરૂ કરી રહી છે. આ મહિલાએ હજી પોતાની ઓળખ આપી નથી, પણ તે ગુજરાતીમાં વાત કરે છે.
આ વિશે વૉચડોગ ફાઉન્ડેશનના નિકોલસ અલમેડાએ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે મને ફોન આવતાં હું તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં પોલીસથી લઈને ગાર્ડ વગેરે ઉપસ્થિત હતા છતાં કોઈ મહિલાને નાળામાંથી બહાર લાવી શકતાં નહોતા. એથી હું પોતે નાળાની અંદર ઉતર્યો અને બીએમસીના નાળાની અંદર મેટ્રો-૩ના પ્રોજેક્ટના કામને લીધે સિમેન્ટનો ગઠ્ઠો તૈયાર થયો હતો. નાળાની અંદર ચાર ફીટ ઊંડાણ સુધી આ ગઠ્ઠો હતો અને મહિલા ત્યાં ફસાઈ ગઈ હતી. હું સીડીની મદદથી નાળાની અંદર ઉતર્યો હતો. શરૂઆતમાં હું પણ તેને કાઢવામાં પડી ગયો હતો, પણ ત્યાર બાદ બરાબર બૅલેન્સ રાખીને ગમે એમ કરીને તેને બહાર કાઢી શક્યો હતો. સમય પર હું નાળાની અંદર પહોંચ્યો ન હોત તો મહિલાનો જીવ બચ્યો નહોત. બહાર લાવ્યા બાદ પોલીસ તેને કુપર હૉસ્પિટલમાં લઈ ગયા હતા. આ નાળાને જલદી સાફ કરવામાં આવે એવી વિનંતી પણ કરાઈ છે.’

mumbai mumbai news