ગોલ્ડ સ્મગલિંગમાં દાઉદના ગુરુ લલ્લુ જોગીનું મૃત્યુ

17 May, 2019 11:36 AM IST  |  મુંબઈ | વિવેક અગરવાલ

ગોલ્ડ સ્મગલિંગમાં દાઉદના ગુરુ લલ્લુ જોગીનું મૃત્યુ

લલ્લુ જોગી

સોનાની દાણચોરીમાં એક જમાનામાં જેના નામની હાક વાગતી હતી એ લલ્લુભાઈ જોગીભાઈ પટેલ ઉર્ફે લલ્લુ જોગી લાંબી બીમારી પછી બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. દમણમાં સક્રિય લલ્લુ જોગી ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગઈ કાલે બપોરે બે વાગ્યે કાનૂની પ્રક્રિયા પૂરી થતાં પરિવારના સભ્યો લલ્લુ જોગીના મૃતદેહ સાથે દમણ જવા રવાના થયા હતા.

સાંજે પાંચ વાગ્યે દમણમાં ધામધૂમથી લલ્લુ જોગીની સ્મનશાનયાત્રા નીકળી હતી, જેમાં લગભગ ૩૦૦૦ લોકો સામેલ થયા હતા. એ માનવમહેરામણની ઉપસ્થિતિમાં દમણના દરિયાકિનારે મરવણ સ્મશાનભૂમિમાં લલ્લુભાઈના અંતિમ સંસ્કાર પાર પાડવામાં આવ્યા હતા.

લલ્લુ જોગીના મોટા દીકરા દિલીપે ૨૦૦૭માં ડિપ્રેશનને કારણે આપઘાત કર્યા પછી તેમના પરિવારમાં પાંચ દીકરીઓ અને જમાઈઓ છે. નાના દીકરા સંદીપનો મૃતદેહ એક હોટેલમાં કોહવાયેલી હાલતમાં મળ્યો હતો. સંદીપે પોતાની માતા ચંપાબહેનની હત્યા કરી હતી. લલ્લુ જોગી છેલ્લાં કેટલાંક વર્ષોથી એકલો પડી ગયો હતો. એ સ્થિતિમાં છેલ્લા દિવસોમાં ઉદવાડામાં રહેતા જમાઈ હસમુખભાઈ ભગવાનભાઈ પટેલનો પરિવાર લલ્લુની કાળજી રાખતો હતો.

સોનાની દાણચોરીના બાદશાહ મનાતા મુંબઈના હાજી મસ્તાનના જૂના મિત્ર લલ્લુ જોગીનાં સાહસિક કરનામાંની કથાઓ આજે પણ દમણના અને મુંબઈના દાણચોરો કહે છે. હાજી મસ્તાન અને લલ્લુ જોગી દમણના દરિયાકિનારેથી સાથે મળીને દાણચોરી કરતા હોવાનું કહેવાય છે. એ બન્ને સાથે મુજરા જોવા જતા હોવાના અને મોજમસ્તી કરતા હોવાના કિસ્સા પણ પરિચિતો વર્ણવે છે.

દાઉદ ઇબ્રાહિમને પનાહ

લલ્લુ જોગી વિશે કહેવામાં આવે છે કે તે ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ કાસકરને પનાહ આપતો હતો. લલ્લુને દાઉદના ગોલ્ડ સ્મગલિંગનો ગુરુ માનવામાં આવતો. લલ્લુની તસ્કરીમાં આવતી સોના-ચાંદીની ખેપ મુંબઈ પહોંચાડવાનું કામ કરતાં-કરતાં શાબિર અને દાઉદે પણ સોનાનો કાળો કારબાર શરૂ કરી દીધો હતો.

આઝાદીનો સિપાઈ હતો લલ્લુ જોગી

દેશના સૌથી મોટા ગોલ્ડ સ્મગલર્સમાં સામેલ થયેલા લલ્લુ જોગીના વિષયમાં આ તથ્ય લોકોને નથી ખબર કે તે દીવ દમણની આઝાદીનો જંગ લડનારા સિપાઈઓમાં સામેલ હતો.

આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળી મર્ડર કેસઃ તમામ આરોપીઓની મિલકત લેવાશે ટાંચમાં

ખોફનું બીજું નામ હતો લલ્લુ જોગી

આ ગોલ્ડ સ્મગલર્સે સમગ્ર વિસ્તારમાં પોતાનો ખોફ બનાવી રાખ્યો હતો. જ્યારે તેનાં સોના-ચાંદી દરિયાના રસ્તેથી ખાડીઓમાં થઈને ગામડાંઓમાં જતું ત્યારે ગામનાં છોકરાંઓને રડવાની પણ મનાઈ હતી.

mumbai Crime News