25 September, 2021 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલીમાં ૧૫ વર્ષની ટીનેજર પર સામૂહિક બળાત્કારના મામલામાં પોલીસે ગઈ કાલે નવી મુંબઈમાંથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે આ મામલામાં બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ૨૮ થઈ છે.
આ કમકમાટીભર્યા મામલાની તપાસ કરવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ ટીમનાં હેડ અને થાણેનાં એસીપી સોનાલી ઢોલેએ ગઈ કાલે માહિતી આપી હતી કે ‘ટીનેજરે પોલીસને ૩૩ આરોપીઓનાં નામ આપ્યાં છે. આમાંથી પહેલાં ૨૬ અને ગઈ કાલે બે મળીને અત્યાર સુધી ૨૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી બે આરોપીઓ સગીર છે. બાકીના લોકોની તપાસ કરાઈ રહી છે. ટીનેજરની તબિયત સ્થિર છે. આરોપીઓ સાથે તેની ઓળખાણ સોશ્યલ મીડિયાથી થઈ હતી. આ કેસમાં હજી સુધી કોઈ રાજકીય કનેક્શન સામે આવ્યું નથી.’