ડિજિટલ ફાસ્ટિંગ કરો અને જીતો હેલિકૉપ્ટર રાઇડ પાલિતાણાની

09 August, 2022 10:25 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ઑગસ્ટમાં અનોખી આરાધના કરીને મળશે મૂળ નાયકની નવાંગી પૂજા તથા પુષ્પપૂજાનો લાભ : ‘ધ જૈન ફાઉન્ડેશન’ આ વખતે કમ્પેશન અને ડિજિટલ ફાસ્ટિંગનો કન્સેપ્ટ અનોખી રીતે લઈને યુવાનો રસ લે એ રીતે ઍક્ટિવિટી કરાવી રહ્યું છે, જેમાં ભાગ લેનારાઓને પૉઇન્ટ્સ આપવામાં આવશે

પાલિતાણા

જૈન ધર્મની આરાધનામાં લોકો સાથે યુવાન વર્ગ પણ એટલો જ રસ લે અને ઊંડો ઊતરે એ માટે ‘ધ જૈન ફાઉડેન્શન’ અનોખી રીતે આરાધના કરાવી રહ્યું છે, જેમાં ઑગસ્ટમાં વિવિધ ઍક્ટિવિટી કરીને પૉઇન્ટ્સ મેળવવાની સાથે ડિજિટલ ફાસ્ટિંગ કરીને ઍડિશનલ પૉઇન્ટ્સ મેળવીને વિનર બની શકાય છે. ઉલ્લેખનીય છે કે ૩૧ દિવસની આ ચૅલેન્જમાં વધુ પૉઇન્ટ્સ મેળવનારને પાલિતાણાની તીર્થયાત્રા સાથે મૂળ નાયક શ્રી ઋષભદેવ ભગવાનની નવાંગી પૂજા અને પુષ્પપૂજાનો લાભ પણ મળશે. આ પ્રોગ્રામમાં ભારતથી જ નહીં, વિદેશના પાંચ દેશના લોકોએ પણ ભાગ લીધો છે તેમ જ આ અનોખી આરાધનામાં જૈન ને નોન-જૈન લોકો પણ જોડાયા છે અને હજી જોડાઈ શકે છે.

ધ જૈન ફાઉન્ડેશન નામની એક સામાજિક સંસ્થા દ્વારા ‘ડિજિટલ ફાસ્ટિંગ’ નામનો પ્રોગ્રામ ગયા વર્ષે શરૂ થયો હતો, પરંતુ આ વખતે ડિજિટલ ફાસ્ટિંગ સાથે કમ્પેશનનો અનોખો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, જે પ્રમાણે ફાઉન્ડેશન દ્વારા ભાગ લેનાર લોકોને ૪૧ વિવિધિ પ્રકારની પ્રવૃત્તિઓ દરરોજ કરવાની રહેશે અને એ પ્રમાણે તેમને સ્કોર-કાર્ડ પ્રમાણે પૉઇન્ટ્સ મળશે. આ સાથે ૩, ૬, ૧૨, ૨૪ એમ પ્રત્યેક કોઈ પણ પ્રકારનું ડિજિટલ ફાસ્ટિંગ કર્યું તો એના પણ ઍડિશનલ પૉઇન્ટ્સ મળશે. આ ડિજિટલ ફાસ્ટિંગ એટલે દરરોજના ઉપયોગમાં આવતાં અને વધુ પડતો ઉપયોગ થતાં ગૅજેસ્ટ્સનો ઉપવાસ કરવો. પ્રોગ્રામમાં નક્કી કરેલા સમયે મોબાઇલ સહિત અન્ય ગૅજેસ્ટ્સનો ઉપયોગ કરવો નહીં. ગયા વર્ષે મોબાઇલ અને અન્ય ગૅજેસ્ટ્સનો ઉપવાસ કરીને એને અમુક સમય માટે પોતાનાથી દૂર અથવા તો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવાનું પચ્ચક્ખાણ લેવાનું હતું. એમાં ૫૦ દિવસમાં જે રીતે ઉપવાસ કરીને પૉઇન્ટ્સ મળ્યા એના આધારે મની રિવૉર્ડ મેળવીને ભેગું થયેલું તમામ ભંડોળ જીવદયા સંસ્થાઓ અને સાધર્મિક સંસ્થાઓને આપવામાં આવ્યું હતું.

યુવાન પેઢી માટે રસપ્રદ બને એ રીતે અમે જૈનિઝમ વિશે એજ્યુકેશન આપવા અનેક માર્ગ અપનાવીએ છીએ એમ કહેતાં ધ જૈન ફાઉન્ડેશનના ફાઉન્ડર રમેશ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘યુવા પેઢીમાં જૈન ધર્મનું જ્ઞાન અને મહત્ત્વ જળવાઈ રહે એ માટે દરરોજ ઑનલાઇન અમે જૈન ટૉક્સનું આયોજન કરીએ છીએ. અત્યાર સુધી ૧૫૩થી વધુ સ્કૉલર્સ, જેમાં પીએચડી કરનાર સ્કૉલર્સ જૈન ધર્મના વિવિધ વિષયો પર લેક્ચર આપે છે. ઑગસ્ટમાં પયુર્ષણ પર્વ પણ આવે છે અને આ મહિને આરાધના પણ થતી હોય છે એથી આ રીતે પણ અનોખી આરાધના કરી શકાય. ૪૧ પ્રવૃત્તિઓ જે કરવાની છે એમાં ગરીબને જમાડવાનું, વૃદ્ધાશ્રમમાં સમય વિતાવવાનો, જરૂરિયાતમંદને ચંપલ, છત્રી કે બ્લેન્કેટ આપવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની રહેશે. જેમ શરીરને ડાયટ, સારું જમવાનું આપીને માવજત રાખતા હોઈએ છીએ એમ આપણા આત્મા અને માનસિક રીતે સંભાળ રાખવા ડિજિટલ ફાસ્ટિંગ કરવું જરૂરી છે. ગૅજેસ્ટ્સના વધુ ઉપયોગથી બાળકો અને પરિવાર પર ધ્યાન આપી શકાતું નથી. સોશ્યલ મીડિયા પર વધુ પડતું નકામું જ આવતું હોય છે અને આવો કચરો આપણા મગજમાં ભરાય છે અને એની અસર પણ થાય છે. મોબાઇલનું ઍડિક્શન યુવાન પેઢી માટે જોખમ બની શકે છે, એથી કમ્પેશન સાથે ડિજિટલ ફાસ્ટિંગને પણ અમે મહત્ત્વ આપ્યું છે.’

અંધેરીમાં રહેતા અને સંસ્થા સાથે જોડાયેલા નીલ શાહે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પ્રોગ્રામને સંભાળવા ૭ જણની ટીમ છે, જેમાં એક ગ્રાફિક ડિઝાઇનર, લોકોની ઇન્ક્વાયરીનો જવાબ આપવા માટે એક તથા સોશ્યલ મીડિયા જેવા બધા વિવિધ વિભાગ સંભાળનાર એક જણનો સમાવેશ છે. જે લોકોને અમે સ્કોર-કાર્ડ આપ્યાં છે તેમના પર કમ્પેશન અને ડિજિટલ ફાસ્ટિંગના પૉઇન્ટ્સ મળતા જશે અને વિજેતાઓને પાલિતાણામાં હેલિકૉપ્ટર દ્વારા યાત્રા કરાવવાની સાથે મૂળ નાયકની નવાંગી પૂજા અને પુષ્પપૂજા કરવા મળશે. પ્રોગ્રામમાં ૪૦૦૦થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને લોકો હજી આ ચૅલેન્જમાં ભાગ લઈ શકે છે.’

સંપર્ક
આ પ્રોગ્રામમાં જોડાવા માટે શું કરશો? 
૧થી ૩૧ ઑગસ્ટ સુધી ચાલનારા કમ્પેશન અને ડિજિટલ ફાસ્ટિંગના આ પ્રોગ્રામમાં જોડાવા અને માહિતી મેળવવા માટે 9113976686 પર સંપર્ક કરવો અથવા www.jainfoundation.in વેબસાઇટ પરથી પણ માહિતી મેળવી શકાશે.

mumbai mumbai news preeti khuman-thakur