18 September, 2026 09:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે (તસવીર: X)
દિવંગત સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના પિતા સતીશ સાલિયનનું પ્રતિનિધિત્વ કરતા વકીલ નિલેશ ઓઝાએ શુક્રવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઓઝાએ દાવો કર્યો હતો કે દિશા સાલિયન કેસમાં કરવામાં આવેલા પ્રારંભિક આક્ષેપોમાં ઉદ્ધવ ઠાકરે ‘મુખ્ય આરોપી’ છે. તેમણે શિવસેના (UBT) નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઓઝાએ મીડિયા સાથે વાત કરતાં આ આક્ષેપો કર્યા હતા. તેમના દાવાઓની હજી સુધી કોર્ટમાં પુષ્ટિ થઈ નથી.
નિલેશ ઓઝાએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ અધિકારી સચિન વાઝેની પુનઃનિયુક્તિ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉના સસ્પેન્શન અને તેમની સામેની કાયદાકીય કાર્યવાહી છતાં, દિશા સાલિયનના મૃત્યુના થોડા સમય પહેલાં જ વાઝેને સેવામાં પાછા લાવવામાં આવ્યા હતા. વકીલે દાવો કર્યો હતો કે આ પગલું કથિત રીતે ગેરરીતિઓને છુપાવવાના પ્રયાસનો એક ભાગ હતું. મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહના નિવેદનનો હવાલો આપીને તેમણે આક્ષેપ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ વાઝેને પુનઃનિયુક્ત કરવા માટે સિંહ પર દબાણ કર્યું હતું.
ઓઝાએ દિશાના મૃત્યુના સમયગાળાના CCTV ફૂટેજ અંગે પણ આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) ડેટામાંથી આદિત્ય ઠાકરે સહિતના અમુક નામો દૂર કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ત્યારબાદ ફૂટેજના બૅકઅપમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. વકીલે સવાલ ઉઠાવ્યો હતો કે જો બૅકઅપ 6 ઑગસ્ટ સુધી સીલબંધ રાખવામાં આવ્યું હતું, તો 3 ઑગસ્ટના રોજ પરમબીર સિંહના નિવેદનમાં તેનો ઉલ્લેખ કેવી રીતે થઈ શકે. ઓઝાએ વધુમાં દાવો કર્યો હતો કે કોર્ટના આદેશ બાદ સતીશ સાલિયનના પરિવારને દસ્તાવેજો સોંપવામાં આવ્યા પછી, પોલીસ અધિકારીઓએ જાણ કરી હતી કે બૅકઅપ હાર્ડ ડ્રાઈવ ગુમ થઈ ગઈ છે. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 409નો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે પુરાવા ગાયબ કરવા માટે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.
વકીલે મનસુખ હિરેન કેસની નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) તપાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે તે કેસમાં પણ સચિન વાઝે પર ઈલેક્ટ્રોનિક રૅકોર્ડ્સ, DVR અને CCTV ફૂટેજ સાથે બદલાવ કરવા અથવા તેને દૂર કરવાના આરોપો લાગ્યા હતા.
આ આરોપોના એક દિવસ પહેલાં, ઉદ્ધવ ઠાકરેએ દિશા સાલિયાનના મૃત્યુ સાથે તેમના પરિવારને જોડવાના પ્રયાસોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે આ મામલામાં રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા લોકોને ઘસડવામાં આવી રહ્યા છે. આને ચરિત્રણે બગાડવાનો પ્રયાસ ગણાવતા ઠાકરેએ કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. સતીશ સાલિયાને આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 500 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બંને નેતાઓએ ન્યાયની માગણીને રાજકીય હેતુથી પ્રેરાયેલી ગણાવી હતી.