22 January, 2021 11:52 AM IST | Mumbai | Agencies
દેવેન્દ્ર ફડણવીસે મેટ્રો કારશેડ આરેમાં ખસેડવા મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો
રાજ્ય વિધાનસભાના વિરોધપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મુખ્ય પ્રધાનને પ્રસ્તાવિત મેટ્રો કારશેડ ફરી આરે કૉલોનીમાં સ્થળાંતરીત કરવા અપીલ કરી હતી. દક્ષિણ મુંબઈમાં કોલાબા અને સીપ્ઝ વચ્ચેની મેટ્રો-3 લાઇનના પ્રસ્તાવિત કારશેડને કાંજુરમાર્ગ ખાતે ખસેડવાની જાહેરાત કરવામાં આવી એ પહેલાં આરે કૉલોની સૌથી પહેલાં પસંદગીની સાઇટ હતી.
ઠાકરેને લખેલા પત્રમાં ફડણવીસે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યના કેટલાક અધિકારીઓ મેટ્રો-3 લાઇનના પ્રસ્તાવિત કારશેડના મુદ્દે સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આને લીધે કામ પૂરું થવામાં વિલંબ થશે તેમ જ ખર્ચ પણ વધી જશે એમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કારશેડ કાંજુરમાર્ગ ખસેડવામાં આવશે તો વધુ વૃક્ષો કાપવા પડશે, જેને કારણે પ્રોજેક્ટ વિલંબમાં પડશે અને કરોડો રૂપિયાનો ખર્ચ વધશે.
બીજેપીના નેતા ફડણવીસે કહ્યું હતું કે આરે કારશેડની જમીન માત્ર ૨૦૩૧ સુધી જ ઉપલબ્ધ છે, એ વાત પણ નર્યું જુઠ્ઠાણું છે. મેટ્રો-3 લાઇન કારશેડ માટેની યોજના બનાવતી વખતે આયોજકોએ ૨૦૫૩ સુધી વસ્તીવૃદ્ધિનો અંદાજ લગાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.