30 January, 2021 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અણ્ણા હઝારે
છેલ્લા બે મહિનાથી ખેડૂતોના રોષનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારને ગઈ કાલે બહુ મોટી રાહત મળી હતી જ્યારે સોશ્યલ ઍક્ટિવિસ્ટ અણ્ણા હઝારેએ આજથી ખેડૂતોની માગણીના ટેકામાં બેમુદત ઉપવાસ પર જવાના પોતાના એલાનને પાછું ખેંચી લીધું હતું. બીજેપીના નેતા અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની મધ્યસ્થી બાદ અણ્ણા હઝારેએ આ નિર્ણય લીધો હતો. અણ્ણાને મનાવવા માટે બીજેપીના નેતાઓએ ખાસી મહેનત કરવી પડી હતી. સરકારને ડર હતો કે જો અણ્ણા ઉપવાસ પર બેસશે અને પૉલિટિકલ પાર્ટીઓની સાથે લોકોનો પણ તેમને સપોર્ટ મળશે તો આવી પરિસ્થિતિ મોદી સરકાર માટે મુશ્કેલીભરી થઈ જશે. ગઈ કાલે સાંજે પોતાના ગામ રાળેગણ સિદ્ધિમાં મીડિયાને સંબોધતાં અણ્ણાએ કહ્યું હતું કે ‘અમે સરકારને ૧૫ મુદ્દાઓ આપ્યા હતા જેના પર સરકારે હજી નિર્ણય લીધો નથી, પણ દેવેન્દ્ર ફડણવીસે આવીને મને આશ્વાસન આપ્યું છે કે સરકાર આ મુદ્દાઓ પર ગંભીરતાથી ધ્યાન આપી રહી છે અને કોરોનાને લીધે એના પર કોઈ નિર્ણય નથી લઈ શકાયો પણ હવે એ થઈ જશે. આ જ કારણસર તેમના આશ્વાસનને માનીને મેં હમણાં ઉપવાસ પર બેસવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.’