05 January, 2021 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડમાં જાણીતા યોગી ટ્રાવેલ્સના માલિકના ૩૩ વર્ષનાં પુત્રવધૂ સુષમા યજ્ઞેશ જોષીનું ગઈ કાલે વહેલી સવારે કાર્ડિઍક અરેસ્ટથી મૃત્યુ થતાં મુલુંડ બ્રાહ્મણ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.
મુલુંડના પાંચ રસ્તા પર યોગી ટ્રાવેલ્સ ધરાવતા અને રુણવાલ એન્થોરિયમમાં રહેતાં સુષમાબહેનને રવિવારે મોડી રાતે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. ત્યાર બાદ પરિવારજનોએ ડૉક્ટરનો સંપર્ક કરી તેમને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં, જ્યાં સારવાર દરમ્યાન સોમવારે વહેલી સવારે કાર્ડિઍક અરેસ્ટથી તેમનું મૃત્યુ થયું હોવાનું પરિવારજનોને જણાવાયું હતું.
આ બાબતે યોગી ટ્રાવેલ્સના માલિક હર્ષદ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે, ‘આ ઘટનાથી પરિવારજનોમાં શોક પ્રસરી ગયો છે. આ પહેલાં તેમને કોઈ પ્રકારની પરેશાની નહોતી. સુષમાનાં બે બાળકોમાં એક પુત્રી ૧૦ વર્ષની છે અને બીજી પાંચ વર્ષની છે. ભગવાને ન કરવાનું કરી નાખ્યું હોય એવું અમારા પર વીતી રહ્યું છે’.