આ વર્ષે દહીંહંડીમાં ભાગ લેનારા દોઢ લાખ ગોવિંદાને સરકાર ઇન્શ્યૉરન્સ આપશે

20 July, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જન્માષ્ટમી નિમિત્તે દહીહંડી ફોડવા માટે માનવપિરામિડ બનાવતી વખતે અનેક ગોવિંદાના જીવનું જોખમ ઊભું થાય છે

ફાઇલ તસવીર

જન્માષ્ટમી પર દહીહંડીમાં ભાગ લેનારા ૧.૫ લાખ ગોવિંદાને ઇન્શ્યૉરન્સ કવરેજ આપવાનો નિર્દેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના સ્પોર્ટ્સ વિભાગને આપ્યો છે. છેલ્લાં બે વર્ષથી રાજ્ય સરકાર ૭૫,૦૦૦ ગોવિંદા માટે ઇન્શ્યૉરન્સ આપતી હતી જે સંખ્યા આ વર્ષે બમણી કરવાની માગણીને રાજ્ય સરકારે સ્વીકારી હતી.

જન્માષ્ટમી નિમિત્તે દહીહંડી ફોડવા માટે માનવપિરામિડ બનાવતી વખતે અનેક ગોવિંદાના જીવનું જોખમ ઊભું થાય છે. ઘણી વાર ખૂબ ઊંચેથી પડવાને લીધે ગોવિંદા જીવ ગુમાવે છે અને અમુક વાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. તેથી રાજ્ય સરકાર ગોવિંદાઓ માટે ઇન્શ્યૉરન્સ કવરેજ આપે છે. છેલ્લાં બે વર્ષથી ૭૫,૦૦૦ ગોવિંદાને આ યોજનાનો લાભ મળતો હતો. આ વર્ષે આ સંખ્યા બમણી કરવાની રજૂઆત દહીંહંડી સમન્વય સમિતિએ રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન આશિષ શેલાર સાથે મળીને મુખ્ય પ્રધાન સમક્ષ કરી હતી.

ઓરિયેન્ટલ ઇન્શ્યૉરન્સ કંપનીના ચીફ રીજનલ મૅનેજરે જણાવ્યું હતું કે ‘આ વર્ષે અત્યાર સુધીમાં ૧૨૦૦ મંડળના એક લાખથી વધુ ગોવિંદા માટે ઇન્શ્યૉરન્સ આપી દેવામાં આવ્યા છે. એમાંથી મોટા ભાગના ગોવિંદા મહારાષ્ટ્ર રાજ્ય દહીંહંડી ગોવિંદા અસોસિએશન સાથે સંલગ્ન છે.’

dahi handi janmashtami maharashtra government maharashtra maharashtra news mumbai mumbai news