04 November, 2011 09:14 PM IST |
જુહી ચાવલાએ મોબાઇલ ટાવરો સામે વાંધો ઉઠાવ્યો : સરકારને એમાં કંઈ ખોટું નથી લાગી રહ્યું
ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાએ સરકારી બિલ્ડિંગો પર મૂકવામાં આવેલા મોબાઇલ ટાવરોને હટાવવાની માગણી કરીને આસપાસના લોકોના સ્વાસ્થ્યને એને લીધે તકલીફો ઊભી થવાનો ભય દર્શાવ્યો હતો. જુહી ચાવલાએ કહ્યું હતું ‘હું સાઉથ મુંબઈમાં આવેલા સ્ટેટ ગવર્નમેન્ટના ગેસ્ટહાઉસ સહ્યાદ્રિની સામેના ઘરમાં રહું છું. આ ગેસ્ટહાઉસ પર ૧૪ મોબાઇલ ટાવર લગાવવામાં આવ્યા છે, જેનું રેડિયેશન બહુ હોય છે અને એને લીધે એની નજીકમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. લોકોની તંદુરસ્તીને થઈ રહેલી સમસ્યાને ધ્યાનમાં લેતાં સરકારે આ ટાવર શક્ય એટલા જલ્ાદી હટાવી દેવા જોઈએ. મોબાઇલ ટાવરની નજીકમાં રહેતા લોકોની હાલત એવી છે કે જાણે તેઓ માઇક્રોવેવ અવનમાં રહેતા હોય.’
બીજી તરફ સરકારનો પક્ષ લેતાં મહારાષ્ટ્રના પર્યાવરણપ્રધાન સચિન આહિરેએ કહ્યું હતું કે ‘મોબાઇલ ટાવરનાં રેડિયેશનને લગતા એક્સપર્ટની કમેન્ટ પણ લેવામાં આવી હતી, જેના રિપોર્ટ મુજબ આ ટાવરના રેડિયેશનને લીધે કોઈના સ્વાસ્થ્યને તકલીફ થાય એમ નથી.’