શિવાજી પાર્કની જગ્યા રામજન્મભૂમિ જેટલી પવિત્ર : સંજય રાઉત

28 November, 2012 05:19 AM IST  | 

શિવાજી પાર્કની જગ્યા રામજન્મભૂમિ જેટલી પવિત્ર : સંજય રાઉત

શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘જયાં બાળાસાહેબના અંતિમસંસ્કાર થયા એ સ્થળ અયોધ્યા જેટલું જ પવિત્ર હોવાથી ત્યાં તેમનું સ્મારક બનાવવું કે નહીં એ બાબતે નિર્ણય લાખો શિવસૈનિક જ લેશે. એમાં ન તો ગવર્નમેન્ટે માથું મારવું કે ન તો ર્કોટે એમાં દખલ દેવી જોઈએ.’

શિવસેનાપ્રમુખનું સ્મારક ક્યાં બનવું જોઈએ એના પર ૧૭ નવેમ્બરે બાળ ઠાકરેના  નિધનના બીજા દિવસથી જ વાદવિવાદ શરૂ થઈ ગયો છે અને એમાં અન્ય રાજકીય પક્ષોએ પણ ઝુકાવી દીધું છે ત્યારે ગઈ કાલે સંજય રાઉતે શિવસેનાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘જયાં બાળાસાહેબના અંતિમસંસ્કાર થયા એ સ્થળ શિવસૈનિકો માટે મંદિર જેટલું પવિત્ર છે. ત્યાં રોજ અખંડ દીવો કરવામાં આવે છે. રાજયમાંથી નહીં, દેશભરમાંથી શિવસૈનિકો ત્યાં માથું ટેકવા આવે છે. આમ શિવસૈનિકો માટે શિવાજી પાર્ક શ્રદ્ધાસ્થાન બની ગયું છે એટલે આ જગ્યાની પવિત્રતા જળવાવી જોઈએ.’