29 July, 2020 07:28 AM IST | Mumbai | Mumbai correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ચેઝ ધ વાઇરસ અંતર્ગત છેલ્લા ૧૦૦ દિવસ બાદ માત્ર ૭૦૦ એટલે કે સૌથી ઓછા નવા કોરોના-પૉઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાની ટેસ્ટિંગ સંખ્યા પણ વધારવામાં આવી છે, જેથી કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો છે. હવે મુંબઈનો ડબલિંગ રેટ વધીને ૬૮ દિવસનો થઈ ગયો છે અને છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાનો ગ્રોથ-રેટ ઓછો થઈને ૧.૦૩ ટકા પર આવી ગયો છે. બીએમસીના આંકડા મુજબ સોમવારે કોરોનાના ૧૧૦૧ નવા કેસ આવ્યા હતા, જ્યારે ૮૦,૨૩૮ દરદીઓ રિકવર થયા છે. આ બાબતે બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ) સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના કેસ હવે કન્ટ્રોલમાં આવી રહ્યા છે. ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી હતી. સૌથી પહેલાં તો સ્લમ એરિયાના હાઈ રિસ્ક કેસને બહાર કાઢ્યા અને એનું ટેસ્ટિંગ કર્યું, એની સારવાર કરી જેથી ફાયદો એ થયો કે હાઈ રિસ્ક કૉન્ટૅક્ટવાળા જે કેસ આગળ જઈને સ્પ્રેડ થવાના હતા એ સ્પ્રેડ થતા અટક્યા છે. એ પછી હાઉસ ટૂ હાઉસ સર્વે કર્યો હતો, ફીવર ક્લિનિક શરૂ કર્યું, આઇસોલેશન કર્યું અને લોકલ ડૉક્ટર્સની પણ મદદ લીધી હતી એથી ધીરે-ધીરે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.’