23 June, 2020 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે
આખા વિશ્વમાં કોરોના વાઈરસનો ભય દેખાઈ રહ્યો છે. સાથે જ આ ઝેરી વાઈરસનો ચેપ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં પોઝિટીવ કેસમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે મહારાષ્ટ્ર નવનિર્મણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના બે ડ્રાઈવર કોરોના વાઈરસની ચપેટમાં આવ્યા છે. હાલ બન્નને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એમની સારવાર પણ ચાલુ થઈ ગઈ છે. અગાઉ રાજ ઠાકરેના બે સરકારી બૉડીગાર્ડ્સને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. બન્ને સારવાર બાદ કોરોનામાંથી મુક્ત થઈ ગયા હતા.
દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં રાજ ઠાકરેનું કૃષ્ણકુંજ નિવાસસ્થાન છે. દાદર, માહિમ અને ધારાવી પાલિકાના જી ઉત્તર વોર્ડ હેઠળ આવે છે. આ વોર્ડમાં થોડા દિવસો પહેલા મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. જો કે, હવે કોરોના માટેનું મુખ્ય હોટસ્પોટ ધારાવીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે હજી પણ માહિમ અને દાદર વિસ્તારમાં કોરોના દર્દીઓ જોવા મળે છે. સોમવારે દાદરમાં 16 અને માહિમમાં 21 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. આથી આ વિસ્તારમાં પાલિકા દ્વારા હજુ પણ સાવચેતી લેવામાં આવી રહી છે.
શિવસેના ભવનમાં સતત કામ માટે આવનારા સાસંદ અનિલ દેસાઈના કાર્યાલયમાં કોરોના વાઈરસે એન્ટ્રી મારી છે. સોમવારે એક્ટિવિસ્ટને કોરોનાથી ચેપ લાગ્યો હતો. આ પછી, સમગ્ર સેના ભવનની સ્વચ્છતા કરવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર શિવસેના ભવન લગભગ એક અઠવાડિયા માટે બંધ રહેશે.