24 May, 2020 07:39 AM IST | Mumbai | Agencies
ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાઇરસ મહામારી સામે લડત આપવા માટે સેવા પૂરી પાડવાની કરેલી હાકલનો પ્રતિસાદ આપનારા ૨૧,૭૫૨ ‘કોવિડ યોદ્ધાઓ’ને શનિવારે પત્ર પાઠવીને જણાવ્યું હતું કે તેમના આ પગલાથી મુખ્ય પ્રધાનને શક્તિ મળી છે.
તેમણે કહ્યું હતું કે રોગચાળા સામેની લડતમાં તેઓ જે કાર્ય કરે છે એ ઇશ્વર અને દેશ માટેની સેવા છે.
રાજ્યનો દરેક નાગરિક એક સૈનિક તરીકે આ લડાઈમાં જોડાયો છો. લડતમાં તમારા જોડાવાથી મને તાકાત મળી છે, એમ ઠાકરેએ પત્રમાં જણાવ્યું હતું.
‘કોવિડ યોદ્ધા’ તરીકે લડાઈમાં સામેલ થવાની ઠાકરેની હાકલને પ્રતિસાદ આપનારા ૨૧,૭૫૨ લોકો પૈકીના ૧૨,૨૦૩ લોકો મેડિકલ ક્ષેત્રના વ્યવસાયિકો અર્થાત્ ડૉક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ્સ, પેરામેડિક્સ, વૉર્ડ બૉય્ઝ, લૅબ ટેક્નિશ્યન્સ વગેરે છે અને તેમાંથી ઘણા લોકોએ રાજ્યના રેડ ઝોનમાં તહેનાત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રતિસાદ આપનારાઓમાં શિક્ષકો, સિક્યૉરિટી ગાર્ડ્સ, સામાજિક કાર્યકરો તથા નૉન-મેડિકલ ક્ષેત્રના અન્ય લોકોનો સમાવેશ થાય છે, તેમની કુલ સંખ્યા ૯૬૪૯ થાય છે, તેમ મુખ્ય પ્રધાનની ઑફિસની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
૩૭૧૬ લોકોએ રેડ ઝોનમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી. મુંબઈમાં ૩૭૬૬ અરજીઓ મળી છે જેમાંથી ૧૭૮૫ મેડિકલ ક્ષેત્રની છે. તેમણે મુંબઈમાં ઊભી કરવામાં આવેલી કોવિડ સુવિધાઓમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી, એમ યાદીમાં જણાવાયું હતું.