મુંબઈ: કોરોના-કાઉન્ટ છુપાવાય છે?

10 July, 2020 11:29 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ: કોરોના-કાઉન્ટ છુપાવાય છે?

હાલમાં માત્ર એનએબીએલ દ્વારા માન્યતાપ્રાપ્ત લૅબને જ કોરોના-ટેસ્ટની પરવાનગી છે. (તસવીર : પ્રદીપ ધિવાર)

મુંબઈમાં દિવસે-દિવસે કોરોનાની સંખ્યા વધી રહી છે ત્યારે દરરોજ ૧૦૦૦થી વધુ દરદીઓ મળી આવતાં મંગળવારે મુંબઈમાં ૭૮૫ દરદીઓ મળતાં થોડી રાહત થઈ હતી. જોકે વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે આ દંદર્ભે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કોરોનાના દરદીઓની ઓછી સંખ્યા હોવાનું કારણ કહેતાં દેવેન્દ્ર ફડણવીસે પ્રશાસન પર નંબર છુપાવવાનો આડકતરી રીતે આક્ષેપ કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પરીક્ષણોની સંખ્યા વધારવાની વધારે જરૂર છે. ખાનગી હૉસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં દરદીઓ લૂંટાઈ રહ્યા છે. રાજ્ય સરકારે આ તરફ પણ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે એવું પણ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે.

નંબરો છુપાવવાના આક્ષેપ સામે ક્લૅરિફિકેશન આપતાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ કહ્યું હતું કે મુંબઈમાં અત્યાર સુધીમાં ૩ લાખ ૬૪ હજાર કોરોનાના દરદીઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે.. જોકે લગાવેલા આક્ષેપો ખોટા અર્થઘટન પર આધારિત છે એવી સ્પષ્ટતા બીએમસી દ્વારા કરવામાં આવી છે જે આ મુજબ છે...

કોરોનાના પરીક્ષણ પર ભાર આપ્યો

બીએમસી કોરોનાના વધારે પ્રમાણમાં પરીક્ષણ કરવા માટે જોર આપી જ રહી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશો અંતર્ગત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ટેસ્ટની કૅપેસિટી વધારી

બીએમસી દ્વારા એક લાખ ઍન્ટિજેન ટેસ્ટની ખરીદી કરવામાં આવી જેથી અડધા કલાકની અંદર કોરોનાનું નિદાન થઈ શકે, આથી આખી પરીક્ષણની પ્રક્રિયામાં ઝડપ આવી શકશે. ત્રણ જુલાઈથી ઍન્ટિજન કિટના ઉપયોગથી હવે પરીક્ષણની સંખ્યા પ્રતિદિન ૫૫૦૦ થઈ ગઈ છે, જે અમુક દિવસો પહેલાં અંદાજે ૪૦૦૦ પ્રતિદિનની હતી. ૮ જુલાઈએ દિવસભરમાં પ૪૮૩ પરીક્ષણ થયાં હતાં.

આ બાબતે બીજેપીના નગરસેવક અને પ્રવક્તા (મહારાષ્ટ્ર) ભાલચંદ્ર શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨૦ દિવસમાં મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે અમે એ બાબતે બોલી રહ્યા છીએ. કોરોનાનો આંકડો વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે એના વિશે અમે નથી કહેતા. અમે આંકડા છુપાવવા કે ટેસ્ટ ન કરવી કે ટેસ્ટને અવૉઇડ કરવા વિશે કહીએ છીએ. પહેલાં કોરોના-ટેસ્ટ માટે બહુ રિસ્ટ્રિક્શન હતાં કે નૉર્મલ વ્યક્તિની ટેસ્ટ કરવી મુશ્કેલ હતી. બેડ પણ પૂરતી સંખ્યામાં નહોતા. મુંબઈમાં કૅપેસિટી હોવા છતાં કોરોના-ટેસ્ટ કરવા આપતા નહોતા, કેમ કે એ લોકોને હાઇડ કરવું હતું. હવે ટેસ્ટ કરવા માટે ડૉક્ટરની ચિઠ્ઠીની જરૂર નથી, હવે ઓપન કર્યું છે એ તેઓ પહેલાં પણ કરી શકતા હતા.

મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલને ‘મિડ-ડે’એ જ્યારે પૂછ્યું કે ઍન્ટિજન ટેસ્ટ, સર્વેક્ષણ વગેરે ટેસ્ટના રેકૉર્ડને મૅનેજ કેવી રીતે કરશો ત્યારે મ્યુનિસિપલ કમિશનરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ બધાનો રેકૉર્ડ જે-તે લૅબ રાખશે અને લૅબ્સ દ્વારા રેકૉર્ડને મૅનેજ કરવામાં આવશે.

અમે કોઈ એક દિવસના આંકડાની વાત નથી કરતા. અમે ૧૨૦ દિવસની વાત કરીએ છીએ. અમે એમ નથી કહેતા કે ગઈ કાલે કે બે દિવસની અંદર બીએમસીએ કોરોનાના આંકડા છુપાવ્યા છે. અમારું કહેવું છે કે ૧૨૦ દિવસમાં કોરોનાની ટેસ્ટ છુપાવાઈ છે, કોઈ પેશન્ટનું કોરોનાને કારણે ડેથ થયું હોય તો એને પણ કોઈ ને કોઈ રીતે છુપાવ્યું છે.
- ભાલચંદ્ર શિરસાટ, બીજેપીના નગરસેવક અને પ્રવક્તા (મહારાષ્ટ્ર)

mumbai mumbai news coronavirus covid19 lockdown urvi shah-mestry