16 August, 2020 10:24 AM IST | Mumbai | Agencies
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અંદાજે ૩૦૦થી વધારે ગામડાં કોરોનાની ચપેટમાં આવતાં રાજ્ય સરકાર સતર્ક થઈ છે. સ્ટેટ મિનિસ્ટર સુભાષ દેસાઈએ અધિકારીઓને ગામડામાં કોરોનાની ટેસ્ટિંગ વધારવાના આદેશ આપ્યા છે. શુક્રવારે ડિસ્ટ્રિક્ટ કલેકટર ઑફિસમાં કોરાનાની સમીક્ષા કરવા યોજાયેલી મીટિંગમાં આ આદેશ આપવામાં આવ્યો હતો. સુભાષ દેસાઈએ કહ્યું કે ‘કોરોના પૉઝિટિવ દરદીના સંપર્કમાં આવેલી ઓછામાં ઓછી ૧૫ વ્યક્તિઓની પણ તપાસ થવી જોઈએ અને ગામડામાં પ્રવેશ કરનારી દરેક વ્યક્તિની પણ તપાસ થવી જોઈએ. જરૂર પડે તો એન્ટિજન કીટ (antigen kits)નો ઉપયોગ કરો. ગામડાના દરદીઓને લોકલ લેવલ પર જ ટ્રીટમેન્ટ આપો જેથી કરીને ઔરંગાબાદ શહેરમાં સ્થિતિ કાબૂમાં રહી શકે.’
ઉલ્લેખનીય છે કે ઔરંગાબાદ જિલ્લામાં શુક્રવારે ૨૯૨ લોકો કોરોના પૉઝિટિવ જોવા મળતા કુલ કોરોના પૉઝિટિવ દરદીઓનો આંકડો જિલ્લામાં વધીને ૧૮,૨૫૯ થયો હતો. આ બીમારીને કારણે અત્યાર સુધી જિલ્લામાં ૫૭૬ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ સમયમાં ઓરંગાબાદમાં કોરોનાના કુલ ૪૨૦૯ કેસ એક્ટિવ છે.