નવા હૅન્કૉક બ્રિજ માટે કાઉન્ટડાઉન એક દિવસમાં અડધો બ્રિજ

13 January, 2020 07:44 AM IST  |  Mumbai Desk | prajkta kasale

નવા હૅન્કૉક બ્રિજ માટે કાઉન્ટડાઉન એક દિવસમાં અડધો બ્રિજ

ઍસેમ્બલિંગની ટેક્નૉલૉજી વડે અત્યાર સુધીમાં મર્યાદિત કદ-આકારના ફુટ ઓવરબ્રિજ ગોઠવાયા છે, પરંતુ વાહનોની અવરજવર માટેના બ્રિજને આ ટેક્નૉલૉજી વડે સ્થાપિત કરવાનો આ પ્રથમ અવસર છે. રેલવે-ટ્રાફિકને અટકાવ્યા વિના આ કામ કરવું એ એક પડકાર છે. - બીએમસીના એન્જિનિયર

૧૮૭૯માં માઝગાવને શહેરના પશ્ચિમી ભાગ સાથે જોડવા સૅન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનની ઉપર હૅન્કૉક બ્રિજ બંધાયો હતો. એ બ્રિજને અસુરક્ષિત જાહેર કરવામાં આવતાં ૨૦૧૬માં એને તોડી પાડવામાં આવ્યો હતો. સતત ટ્રેનોની અવરજવર તથા માર્ગ વાહનવ્યવહારને કારણે એ જગ્યાએ બ્રિજના બાંધકામમાં મુશ્કેલી પડે છે. એવા સંજોગોમાં બ્રિજના જુદા-જુદા ભાગ લાવીને ઍસેમ્બલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી જ આ મોટરેબલ બ્રિજની અડધા ભાગની ફ્રેમને એક જ દિવસમાં ઍસેમ્બલ કરીને રેલવે-ટ્રૅકની ઉપર ગોઠવવામાં આવશે. 

બ્રિજના કામ સાથે સંકળાયેલા બીએમસીના એક એન્જિનિયરે જણાવ્યું હતું કે ‘અસેમ્બલિંગની ટેક્નૉલૉજી વડે અત્યાર સુધીમાં મર્યાદિત કદ-આકારના ફુટ ઓવરબ્રિજ ગોઠવાયા છે, પરંતુ વાહનોની અવરજવર માટેના બ્રિજને આ ટેક્નૉલૉજી વડે સ્થાપિત કરવાનો આ પ્રથમ અવસર છે. બાવન કરોડ રૂપિયાના ખર્ચે ૬૫ મીટર લાંબા, ૧૫ મીટર પહોળા અને ૬૬૦ મેટ્રિક ટન વજન ધરાવતા બ્રિજને ૨૦,૦૦૦ બોલ્ટ્સ વડે સ્થાપિત કરવામાં ૪૫ દિવસ લાગશે. ઍસેમ્બલિંગનું કામ માઝગાવ રોડ પર થવાનું હોવાથી ટ્રાફિક મુંબઈ મહાનગરપાલિકાએ પોલીસ-પરવાનગી પણ માગી છે.’
મહાનગરપાલિકાના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે બન્ને બાજુ ફાઉન્ડેશન સ્ટ્રક્ચરનું કામ પૂરું કર્યું છે. ગર્ડર્સ પણ માઝગાવ તરફ મૂકવામાં આવ્યા છે. રેલવે સેફ્ટી કમિશનરની મંજૂરી માટે ટેમ્પરરી અરેન્જમેન્ટ ડ્રૉઇંગ્સ પણ મુંબઈ મહાનગરપાલિકાએ રેલવે તંત્રને સુપરત કર્યાં છે. મધ્ય રેલવેએ ઓવરહેડ વાયર્સનું કામ પણ પૂરું કર્યું છે.’
ટેમ્પરરી અરેન્જમેન્ટ ડ્રૉઇંગ્સને રેલવેની મંજૂરી મળ્યા પછી ગર્ડર્સનું ઍસેમ્બલિંગ પણ શરૂ કરવામાં આવશે. એ ગર્ડર્સ નવેમ્બર મહિનાથી બ્રિજના સ્થળે પહોંચાડાયા છે. બ્રિજના પાર્ટ્સ ચંડીગઢથી લાવવામાં આવે છે. સ્વાભાવિક રીતે આખો બ્રિજ ટ્રાન્સપોર્ટ કરવાનું શક્ય નથી એથી એના છૂટા ભાગ વારાફરતી લાવવવામાં આવે છે. ઍસેમ્બલિંગ બાદ આસ્ફાલ્ટ પાથર્યા પછી એ બ્રિજ વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. જોકે હાલમાં બ્રિજનો અડધો ભાગ ગોઠવાશે અને એ પણ એક જ દિવસમાં. એટલા જ કદ અને આકારનો બીજો ભાગ એ જ ટેક્નિક વડે પછીથી સ્થાપિત કરવામાં આવશે. બ્રિજની કાર્યવાહીને લીધે ઓવરહેડ વાયર્સની નવી વ્યવસ્થા માટે ૧૧ કરોડ રૂપિયા તેમ જ કોડલ ઍન્ડ ટેન યર્સ મેઇન્ટેનન્સ ચાર્જિસરૂપે ૨૮ કરોડ રૂપિયા મધ્ય રેલવેને ચૂકવવા મુંબઈ મહાનગરપાલિકા સંમત થઈ છે.’

mumbai mumbai news