29 March, 2020 09:28 AM IST | Mumbai Desk | Prajkta Kasale
અત્યાવશ્યક ન હોય એવી ચીજોની દુકાન બંધ રાખવાથી પાલિકા મુશ્કેલીમાં
અત્યાવશ્યક ન હોય એવી ચીજોની દુકાન બંધ રાખવાનો બીએમસીનો આદેશ હવે એને માટે જ તકલીફદાયી સાબિત થઈ રહ્યો છે. બિનઆવશ્યક ચીજોમાં હાર્ડવેર અને ફર્નિચર સ્ટોર્સનો સમાવેશ થાય છે. આ દુકાનો બંધ હોવાથી પાલિકાને આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે સાધનોની વ્યવસ્થા કરવામાં તકલીફ પડી રહી છે.
ક્વૉરન્ટીન પેશન્ટ્સ માટે કૂપર હૉસ્પિટલ, એચબીટી ટ્રૉમા સેન્ટર, ભાભા હૉસ્પિટલ અને રાજાવાડી જેવી હૉસ્પિટલોમાં ૩૦ માર્ચ સુધીમાં વધારાના બેડ તૈયાર કરવાના છે, પરંતુ બિનઆવશ્યક સેવાઓની દુકાનો બંધ છે તથા અન્ય રાજ્યોમાંથી આવેલા મોટા ભાગના કામદારો પોતાના વતન પાછા જતા રહ્યા છે, દુકાન અને ગોડાઉનના માલિકો સહકાર આપવા તૈયાર નથી. વળી મટીરિયલ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટાફની કમીને કારણે પણ સરકારને આવશ્યક ચીજો મેળવવામાં તેમ જ નવી સુવિધાઓ તૈયાર કરવામાં તકલીફ પડી રહી છે. કસ્તુરબા હૉસ્પિટલમાં બેડ તૈયાર કરી રહેલા ઈ-વૉર્ડના એન્જિનિયર્સ ભારે દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.
બીએમસી એન્જિનિયર્સ એસોસિએશનના સાંઇનાથ રાજાધ્યક્ષે મિડ-ડેને જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં કામદારો માટે પર્યાપ્ત પ્રમાણમાં માસ્ક અને સેનીટાઇઝર્સ પણ ઉપલબ્ધ નથી. વળી અમારા મોટાભાગના કર્મચારીઓ અંબરનાથ, કલ્યાણ, વિરાર અને બદલાપુર જેટલા લાંબા અંતરથી આવે છે, જે પણ એક સમસ્યા છે.