મુંબઈ: વિદેશથી આવેલાઓને ખર્ચની માહિતી ન અપાતાં મૂંઝવણમાં મુકાયા

14 May, 2020 09:02 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: વિદેશથી આવેલાઓને ખર્ચની માહિતી ન અપાતાં મૂંઝવણમાં મુકાયા

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મુશ્કેલીમાં વિદેશમાં ફસાયેલા લોકો હવે ભારતમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે વિદેશથી આવનારાઓને ઍરપોર્ટની બહાર નીકળ્યા બાદ ટ્રાન્સપોર્ટેશન અને રહેવા-જમવા માટે પેઇડ સર્વિસ આપવાની ગાઇડલાઇન જાહે કરી છે. જોકે સ્થાનિક સ્તરે આની માહિતી ન અપાતી હોવાથી તેઓ મૂંઝવણ અનુભવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

નાલાસોપારા (ઈસ્ટ)માં વિજયનગરમાં રહેતો ૩૦ વર્ષનો અક્ષયદીપ વિસાવડિયા ડિસેમ્બર ૨૦૧૯માં ભણવા માટે લંડન ગયો હતો. એપ્રિલ ૨૦૨૦માં અહીં કોરોનાનું સંકટ આવતાં કૉલેજ બંધ થઈ જવાથી બધાને બે-ત્રણ મહિના બાદ ઑનલાઇન એજ્યુકેશન આપવાનું તે જે યુનિવર્સિટીમાં ભણતો હતો એની માહિતી અપાતાં અક્ષયદીપ તેના જેવા ૧૧ સ્ટુડન્ટ્સ સાથે લંડનથી ૧૦ મેએ સવારે મુંબઈ આવ્યો હતો.

મુંબઈ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી તમામને મુંબઈ-અમદાવાદ હાઇવે પર નાયગાંવ અને વસઈની વચ્ચે આવેલી સૂવી પૅલેસ હોટેલમાં તેમને રાખવામાં આવ્યા છે. તેમની પાસેથી બેસ્ટની બસનો સ્ટુડન્ટદીઠ ૮૮૫ રૂપિયા ચાર્જ લેવાની સાથે હોટેલમાં રહેવા અને જમવા માટે દરરોજ ૨૪૦૦ રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનો તેમનો દાવો છે.

ચાર મહિના પહેલાં જ ઉચ્ચ શિક્ષણ લેવા માટે લંડન ગયેલા અક્ષયદીપ વિસાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને કારણે યુનિવર્સિટી બંધ થઈ ગઈ છે. સપ્ટેમ્બર બાદ ઑનલાઇન સ્ટડી શરૂ કરવાની સૂચના અમને મળ્યા બાદ અહીં રહેવાને બદલે બધાએ ઘરે આવવાનો નિર્ણય લીધો હતો. લંડનથી ભારત આવવા માટે પચાસ હજાર રૂપિયા ચાર્જ લેવાયો હતો. એ સમયે અમને ખબર નહોતી કે અમારે ભારત આવીને ટ્રાન્સપોર્ટેશનની સાથે હોટેલમાં રહેવા અને જમવાનો ચાર્જ પણ ચૂકવવો પડશે. લોન લઈને અમે ગયા હતા એમાં કોરોનાનું સંકટ આવી પડતાં અચાનક પાછું આવવું પડ્યું છે. પરિવારમાં અત્યારે કોઈ આવક નથી ત્યારે હોટેલનો દરરોજનો ખર્ચ અમને ભારે પડી રહ્યો છે.’

વસઈ વિરાર શહેર મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર અને પાલઘર જિલ્લામાં વિદેશથી આવતા લોકોને ક્વૉરન્ટીન કરવાની વ્યવસ્થા કરવા માટે નિયુક્ત કરાયેલા નોડલ ઑફિસર વિશ્વાસ તળેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદેશથી આવનારા લોકોને તેમણે કયો અને કેટલો ચાર્જ ચૂકવવાનો રહેશે એની ગાઇડલાઇન્સ ભારત સરકારે બનાવી છે એને આધારે દેશભરના તમામ જિલ્લામાં વ્યવસ્થા કરાઈ છે. વિદેશમાં જ્યારે ભારત આવવાની ઍપ્લિકેશન સ્વીકારવામાં આવે છે ત્યારે બધી જ વિગતોની જાણ કરવામાં આવે છે. આથી ટ્રાન્સપોર્ટેશન કે હોટેલના ચાર્જની ખબર ન હોય એવું ન બને.’

mumbai news coronavirus mumbai airport covid19