25 March, 2020 11:36 AM IST | Mumbai | Pallavi Smart
એસએસસીની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ફાઇલ ફોટોગ્રાફ.
દક્ષિણ મુંબઈના એક પરીક્ષા કેન્દ્રમાં માધ્યમિક શાળા પ્રમાણપત્ર (એસએસસી)ની પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થીનો કોવિડ-૧૯ ટેસ્ટ પૉઝિટિવ આવતાં તે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપનારા કુલ ૩૬ વિદ્યાર્થીઓ અને ત્યાં નિરીક્ષક તરીકે હાજર આઠ શિક્ષકોએ કોવિડ-૧૯ માટેની સ્ક્રીનિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
૧૫ વર્ષના વિદ્યાર્થીની માહિતી પ્રગટ થયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો હતો. વિભાગે ટીનેજરના સંપર્કમાં આવેલી પ્રત્યેક વ્યક્તિને ટ્રેસ કરવાનું કાર્ય શરૂ કરી દીધું હતું, ત્યારે આ બનાવ બાદ લૉકડાઉન પછી પણ છેલ્લા પેપર સુધી બોર્ડની પરીક્ષા જારી રાખવાના રાજ્યના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે.
છોકરો કસ્તુરબા હૉસ્પિટલ ગયો અને ત્યાં તેનો રિપોર્ટ કોવિડ-૧૯ પૉઝિટિવ આવ્યા બાદ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. તેણે એસએસસીની પરીક્ષા આપી હતી તે માલૂમ પડ્યા બાદ તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરવાનું કાર્ય શરૂ કરી દેવાયું હતું તેમ જ તમામ લોકોની વિગતવાર ઓળખ થઈ ચૂકી છે.
સામાન્યપણે એક વર્ગમાં ૨૪ વિદ્યાર્થીઓ હોય છે. જોકે અમે એવું અનુમાન નથી લગાવી રહ્યા કે તે શનિવારે જ ચેપગ્રસ્ત થયો હતો. અમે છેલ્લા આઠ દિવસોની વિગતો એકઠી કરી છે, જેમાં તેણે એક વખત વર્ગખંડ બદલ્યો હતો. તે કુલ ૩૬ વિદ્યાર્થીઓ અને આઠ શિક્ષકો સાથે વર્ગખંડમાં હાજર રહ્યો હતો. આ તમામ વ્યક્તિઓની વિગતો અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે, જે તેમનું ફોલો-અપ કરી રહ્યો છે, તેમ બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના શિક્ષણ અધિકારી મહેશ પાલકરે જણાવ્યું હતું. કમાઠીપુરાનો રહેવાસી દર્દી (વિદ્યાર્થી) પ્રવાસનો ઇતિહાસ ધરાવતો નથી અને તેને નિકટના સંપર્ક દ્વારા ચેપ લાગ્યો હતો.