12 May, 2020 08:13 AM IST | Mumbai | Prajakta Kasale
વિલે પાર્લેના નેહરુનગરમાં કન્ટેઇનમેન્ટ ઝોન દર્શાવતી સાઇન પાસેથી પસાર થતી વ્યક્તિ. ઉપરની તસવીર જુહુ ગલીમાંના કન્ટેઇનમેન્ટ ઝોનની. તસવીરો : પ્રદીપ ધિવાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ કે-વેસ્ટ વૉર્ડના કન્ટેઇનમેન્ટ ઝોન પર દેખરેખ વધારવાનો નિર્ણય લીધો છે. એણે કન્ટેઇનમેન્ટ ઝોન (સીઝેડ)ના બહેતર વ્યવસ્થાપન માટે વૉર્ડમાં વૉચટાવર ઊભા કરવાનું નક્કી કર્યું છે. વાંસના બનેલા શેડ સાથેના કામચલાઉ બાંધકામથી સ્ટાફને યોગ્ય દેખરેખ રાખવામાં મદદ મળી રહે એ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટાવર આગામી બે-ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે અને એ પ્રત્યાયન માટે પબ્લિક ઍડ્રેસ સિસ્ટમથી સજ્જ હશે.
વિલે પાર્લે-વેસ્ટ, અંધેરી-વેસ્ટ અને જોગેશ્વરી-વેસ્ટને સમાવતા વૉર્ડમાં કોવિડ-19ના દરદીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે, જેને પગલે બીએમસીએ સોમવારે ત્યાંના સાત ઝૂંપડપટ્ટી વિસ્તારોને સીલ કરી દીધા છે.
નવા નિયુક્ત થયેલા મ્યુનિસિપલ કમિશર ઇકબાલ સિંહ ચહલે રવિવારે તેમ જ સોમવારે બીએમસીના અધિકારીઓ સાથેની તેમની બે મીટિંગોમાં સીઝેડના લક્ષ્યાંક-કેન્દ્રિત અસરકારક વ્યવસ્થાપનનો આદેશ આપ્યો છે.
ઝૂંપડપટ્ટી વિસ્તારો સીલ થયા
કે-વેસ્ટમાં કોવિડ-19ના ૮૯૪ દરદીઓ છે. આ વૉર્ડમાં ૨૫૫ સીઝેડ છે (દરેક ઝોનમાં ૧૦૦ જેટલાં ઘરનો સમાવેશ છે) અને એમાંથી આશરે ૧૭૦ સીઝેડ ૬ ઝૂંપડપટ્ટીઓમાં આવેલા છે. આ સ્લમ વિસ્તારોમાં નેહરુનગર, વર્સોવા, આનંદનગર, ગાંવદેવી ડોંગરી (ગિલ્બર્ટ હિલ), જુહુ કોલીવાડા, જુનૈદ નગર - સમતા નગર અને જુહુ ગલીનો સમાવેશ થાય છે. બીએમસીએ સોમવારે પોલીસની મદદથી આ વિસ્તારોને સંપૂર્ણપણે સીલ કરી દીધા છે.
કોરોના વાઇરસના વ્યાપને ઘટાડવા માટે સાત ઝૂંપડપટ્ટી વિસ્તારની ઓળખ કરવામાં આવી હતી અને સોમવારથી એ વિસ્તારોને સંપૂર્ણપણે સીલ કરાયા છે. બીએમસી પોલીસની મદદથી આ સીલબંધ વિસ્તારો પર નજર રાખવા વૉચટાવર ઊભા કરશે.
- વિશ્વાસ મોટે, કે-વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર