27 April, 2020 07:42 AM IST | Mumbai | Faizan Khan
કૉન્સ્ટેબલ રોહન કાસર
કોરોનાનાં લક્ષણો હોવા છતાં કેઈએમ હૉસ્પિટલે ટ્રાફિક કૉન્સ્ટેબલને કસ્તુરબા હૉસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ ન આપી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. એ કૉન્સ્ટેબલે તેના એ ગોઝારા અનુભવનો વિડિયો પાડીને તેને વાઇરલ કરતાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. હાલ એ કૉન્સ્ટેબલને કેઈએમ હૉસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે.
કૉન્સ્ટેબલ રોશન કાસરે તેના વિડિયોમાં કહ્યું હતું કે બુધવારથી મને સખત તાવ આવી રહ્યો હતો અને કફ પણ થયો હતો. એ લક્ષણો સ્પષ્ટ કોરોનાના હતા. હું શુક્રવારે પોલીસ હૉસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યાંથી મને કેઈએમ હૉસ્પિટલમાં ખસેડાયો હતો. કેઈએમના ડૉક્ટરોએ મને તપાસીને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું હતું, પણ તેમણે મને કસ્તુરબા હૉસ્પિટલ જવા એમ્બ્યુલન્સ ફાળવી નહોતી. તેમનું કહેવું હતું કે માત્ર ગંભીર દરદીઓને જ એમ્બ્યુલન્સની સગવડ આપવામાં આવે છે. કેઈએમ હૉસ્પિટલથી કસ્તુરબા ક્યાં દૂર છે? કેટલો સમય લાગે? પણ એમ છતાં તેમણે મને એમ્બ્યુલન્સ ફાળવી નહોતી. કોરોનાના કારણે ક્વૉરન્ટીન કરાયેલા બરકત અલી વિસ્તારમાં હું ફરજ બજાવતો હતો. જ્યાં અનેક લોકોના સંપર્કમાં આવવાથી મને પણ કોરોના થયો. અમે જ્યારે ૨૪ કલાક અમારી ફરજ બજાવીએ છીએ ત્યારે આવું વર્તન કેમ કરાય છે. પ્રશાસન મને મદદ કરે.
જોકે તેણે કરેલો વિડિયો વાઇરલ થયા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તેને કેઈએમ હૉસ્પિટલમાં જ દાખલ કરી તેની સારવાર ચાલુ કરાઈ હતી એમ ઝોન ૪ના ડીસીપી સૌરભ ત્રિપાઠીએ જણાવ્યું હતું.