26 March, 2020 11:23 AM IST | Mumbai | Pallavi Smart
કોરોના વાઇરસના પ્રસારને જોતાં સ્ટેટ બોર્ડે આગામી સૂચના સુધી દસમા ધોરણનું છેલ્લું પેપર પાછળ ઠેલવાનો નિર્ણય લીધો હતો. તસવીર : પ્રદીપ ધીવાર
વડા પ્રધાન મોદીની ૨૧ દિવસના દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત બાદ શિક્ષણ વિભાગે રાજ્યના બોર્ડને છેલ્લું પેપર લેવાની રાહ જોવાને બદલે અન્ય વિકલ્પ પર વિચાર કરવા જણાવ્યું છે. કોવિદ-૧૯નો પ્રસાર વધી રહ્યો હતો અને એસએસસીની પરીક્ષા પૂરી થવામાં હતી. છેલ્લું પેપર ભૂગોળ વિષયનું માત્ર ૫૦ માર્ક્સનું છે, જેમાંથી ૧૦ માર્ક ઇન્ટરનલ એસેસમેન્ટના છે. આમ માત્ર ૪૦ માર્કની પરીક્ષા હોઈ ૨૧ દિવસનો લૉકડાઉન પૂરો થયા બાદ પરીક્ષા લેવાને સ્થાને બોર્ડ અન્ય વિકલ્પો વિશે પણ વિચાર કરી શકે છે.
૨૧ દિવસનો લૉકડાઉન પૂરો થયા પછી ૧૫ એપ્રિલે પરિસ્થિતિ જોયા બાદ કોઈ નિર્ણય લઈ શકાશે. આ સંજોગોમાં સ્ટુડન્ટ્સ અને વાલીઓ ભારે દબાણ હેઠળ રહેશે એમ શિક્ષક ભારતી ઑર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી જલિંદર સરોડોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
દસમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ બેસ્ટ ઑફ ફાઇવમાંથી નક્કી કરવામાં આવતું હોવાથી આ સિસ્ટમને અહીં લાગુ કરી બોર્ડ કદાચ ૬૦૦ના બદલે ૫૬૦ માર્ક્સમાંથી રિઝલ્ટ જાહેર કરે એવી પણ સંભાવના છે.
સ્ટેટ બોર્ડ સબ્જેક્ટ કમિટીના ભૂતપૂર્વ સભ્ય અને શિક્ષક ઉદય નારેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના લોકો તેમ જ વાલીઓ તરફથી ભૂગોળ વિષયનું પેપર ન લેવાનો માગણી વધી રહી છે. બોર્ડ શિક્ષણવિદો અને ભૂગોળના વિષયના નિષ્ણાતો પાસેથી સુઝાવ મગાવી રહ્યું છે.