14 May, 2020 07:37 AM IST | Mumbai | Mumbai Correspondent
એપીએમસી માર્કેટમાં વેપારી-દલાલોનું હેલ્થ-સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટમાં કોરોના સંક્રમણના કેસ વધતાં અહીં ૧૭ મે સુધી કામકાજ બંધ કરવામાં આવ્યું છે. ૧૧થી ૧૭ મે દરમ્યાન અહીંની તમામ બજારને સૅનિટાઇઝ કરાઈ રહી છે. આ સિવાય મંગળવારે વેપારીઓ અને દલાલોનું હેલ્થ વિભાગની ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોને કોરાનાનાં લક્ષણ દેખાતાં તેમને કોવિડ-19ની ટેસ્ટ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીના જણાવ્યા મુજબ ગ્રોમા અને એપીએમસીના અધિકારીઓ દ્વારા બુધવારે સવારે ૧૧થી બપોરે ૩ વાગ્યા દરમ્યાન બજારના વેપારીઓ અને દલાલોના હેલ્થ-સ્ક્રીનિંગનું આયોજન કરાયું હતું. કોઈને કોરોનાનાં લક્ષણ જોવા મળતાં તેમને કોવિડ-૧૯ની ટેસ્ટ કરાવવાનું સૂચવવામાં આવ્યું હતું.
આ હેલ્થ-સ્ક્રીનિંગના કાર્યકમ વખતે ગ્રોમા સંસ્થાના ઉપપ્રમુખ મહેન્દ્ર ગજરા, અમૃતલાલ જૈન, એપીએમસીના ડિરેક્ટર નીલેશ વીરા તથા માથાડી કામદારોના નેતા નરેન્દ્ર પાટીલ વગેરે હાજર રહ્યા હતા. એ સિવાય અત્યારે માર્કેટની તમામ ગલીને સૅનિટાઇઝ કરવાનું કામ ચાલી રહ્યું છે. જે ગાળાઓ બંધ છે એ ખોલાવીને સાફસફાઈ કરાવાઈ રહી છે.