09 April, 2020 02:06 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઇ પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચે તબલીગી જમાતની બેઠકમાં ગયેલા 50 જણાને શોધી કાઢવાની જદ્દોજહદ કચકચાવીને શરૂ કરી દીધી છે. આ એવા લોકો છે જેમણે ત્યાંથી પાછા આવીને સુચના હોવા છતાં પણ પોલીસને સંપર્ક નથી કર્યો, તે પણ સત્તાવાળાઓની અવારનવાર વિનંતી હોવા છતાં. અત્યાર સુધીમાં પોલીસે પાંચ જણાને ધારાવીમાંથી શોધી કાઢ્યા છે પણ બાકીના 50 જણાએ પોતાનો ફોન પણ સ્વિચ ઑફ કરી દીધો છે.મહારાષ્ટ્રનાં ગૃહપ્રધાન અને એનસીપીનાં નેતા અનિલ દેશમુખે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયને આ આખા મામલા માટે જવાબદાર ઠેરવતા આકરા સવાલો કર્યા હતા.
જો કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ડોભાલ અને કેન્દ્ર પર સવાલ ઉઠાવવું યોગ્ય નથી અને રોગચાળાનું રાજકારણ ન ખેલાવું જોઇએ. તેમણે દેશમુખે આ ટકોર કરવાને બદલે તબલીગીની મરકઝમાં ગયેલા લોકોને શોધવામાં કડક કાયદાનું પાલન થાય તેની પર ધ્યાન આપવું જોઇએ.દિલ્હી પોલીસે મુંબઇ સત્તાધિશોને 150 જણનાં નામ આપ્યા હતા અને તે ઉપરાંત
મુંબઇ પોલીસ પાસે બીજા 100 નામ આવ્યા છે જેમાંથી 50 જણાએ તો પોતાના ફોન જ બંધ કરી દીધા છે અને છુપાઇ ગયા છે.ગૃહમંત્રીએ કહ્યું છે કે આવા લોકો સામે કડક પગલાં લેવા જોઇએ.એક અધિકારીએ મિડ-ડેને જણાવ્યું કે, “અમે આ માણસોને ટ્રેક કરીને ક્વોરેન્ટાઇન કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ છીએ, અમને ધારાવીમાંથી પાંચ જણ મળ્યા છે જે ખરેખર ચોંકાવનારું અને ચેતવણી ભર્યું છે. તે બધા એક જ રૂમમાં રહી રહ્યા હતા, હાલમાં તેમને ક્વોરેન્ટાઇન કરાયા છે અન તેમના સેમ્પલ ટેસ્ટ માટે લેવાયા છે.”