હમ નહીં સુધરેંગે

03 April, 2020 07:07 AM IST  |  Mumbai Desk | Anurag Kamble, Samiullah Khan, Shirish Vaktania

હમ નહીં સુધરેંગે

આરઆરટી રોડ, મુલુંડ-વેસ્ટ

કોરોના વાઇરસના રોગચાળાને કારણે થાણે કેન્દ્ર સરકારે જાહેર કરેલા લૉકડાઉનનું શિસ્તપૂર્વક પાલન કરવામાં અનેક વિસ્તારના લોકો ગફલત કરતા હોવાનું અને પરિસ્થિતિની ગંભીરતાને ગણકારતા ન હોવાનું ‘મિડ-ડે’એ નોંધ્યું છે. વિવિધ વિસ્તારોની સ્થિતિ અમારા સંવાદદાતાઓએ આ રીતે વર્ણવી છે.

બોરીવલીમાં શું હાલત છે?
ગઈ કાલે સવારે લગભગ ૧૫૦ લોકો બોરીવલી-વેસ્ટમાં અપના ફલ માર્કેટ નામે જાણીતા ફળબજારમાં ખરીદી કરતા હતા. પોલીસે ગ્રાહકો વચ્ચે અંતર રાખવા માટે જગ્યા માર્ક કરવાની સૂચના આપી હોવા છતાં એ સૂચનાનું પાલન થતું જોવા મળ્યું નહોતું. મજૂરો માસ્ક કે સૅનિટાઇઝર્સ વગર કામ કરતા જોવા મળ્યા હતા. તેમણે પ્રેસ-ફોટોગ્રાફર અને રિપોર્ટર્સને બજારમાં પ્રવેશતા રોક્યા હતા. એક સ્ટૉલધારકે કહ્યું હતું કે ‘અમે ગ્રાહકોને સીધું વેચાણ કરતા નથી. કોઈ પણ હાઉસિંગ સોસાયટી ૧૦૦ કિલો ફળનો ઑર્ડર આપે તો તેમના બિલ્ડિંગના ગેટ પર પહોંચાડી દઈએ છીએ.’
બોરીવલીના સિનિયર ઇન્સ્પેક્ટર લક્ષ્મણ ડુંબરેએ જણાવ્યું હતું કે ‘અમે સ્ટેશનની બહારનું શાકબજાર બંધ કરાવ્યું છે. અમે ફળબજારના વિક્રેતાઓને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને એરિયા જુદા પાડવાનો આદેશ આપ્યો છે. તેમને કહ્યું છે કે ક્યાંય પણ ટોળાં જોવા મળશે તો કડક પગલાં લેવાશે. ટોળાં ન થાય એ માટે લોકોએ ખરીદી માટે કતારમાં એકબીજાથી ત્રણેક ફુટનું અંતર રાખીને ઊભા રહેવાનું છે.’

મુલુંડની શું હાલત છે?
મુલુંડના આરઆરટી રોડ અને જૈન રોડ પર મોટાં ફળબજાર છે. મુલુંડ પોલીસ સતત પરિસ્થિતિ પર નજર રાખે છે, પરંતુ વ્યક્તિઓ પર નિગરાણી રાખવાનું કામ અઘરું છે. પોલીસે સ્થાનિક બજારોમાં ભીડનું પ્રમાણ સાવ ઘટી ગયું હોવાનો દાવો કર્યો હતો. ઘણા લોકો ખરીદી કરતાં-કરતાં વાતો કરતા હોવાનું અને ખરીદીમાં વધારે સમય વેડફતા હોવાનું પણ પોલીસે નોંધ્યું છે.. ગઈ કાલે સવારે બજારમાં ટોળાં અને ગિરદી વધતી જણાઈ ત્યારે બપોર સુધીમાં પોલીસે બજાર બંધ કરાવ્યાં હતાં.
મુલુંડના સિનિયર ઇન્સ્પેક્ટર રવિ સરદેસાઈએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘હાલ બજારમાં ભીડ વધારે છે, પરંતુ સર્વસામાન્ય સંદર્ભમાં ભીડનું પ્રમાણ ૮૦ ટકા ઘટ્યું છે. અમે દરેક ઘરમાંથી એક જણને બહાર આવીને ફળ અને શાકભાજી ખરીદવાની છૂટ આપી છે. નાગરિકોએ લૉકડાઉનની ગંભીરતા સમજવી જોઈએ.’

મોહમ્મદ અલી રોડની શું હાલત છે?
દક્ષિણ મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો લૉકડાઉનનો ખુલ્લો ભંગ કરે છે. જેજે માર્ગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જુવાનિયાઓ પરિસ્થિતિની ગંભીરતા સમજતા જ નથી. એ લોકો મોટરસાઇકલ પર લટાર મારતા રહે છે. લૉકડાઉન જાહેર કરાયું ત્યારથી અમે સેંકડો મોટરસાઇકલો જપ્ત કરી છે. જુવાનિયાઓ ખોટાં મેડિકલ પ્રિસ્ક્રિપ્શન્સ અને ખોટા દસ્તાવેજ સાથેની મોટરસાઇકલ પર ફરતા હોવાના અનેક કિસ્સા અમે નોંધ્યા છે.’

samiullah khan anurag kamble shirish vaktania