30 June, 2020 12:11 PM IST | Mumbai | Pallavi Smart
મુંબઈ યુનિવર્સિટી
આ વર્ષે લૉકડાઉન બાદ કોઈ પણ કૉલેજે હજી સુધી પરીક્ષા લીધી નથી છતાં મુંબઈ યુનિવર્સિટીએ એક સર્ક્યુલર બહાર પાડીને એક્ઝામ-ફી ભરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે પરિપત્રમાં કેટલા પૈસા ભરવાના છે અનએ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ લેટ ફી અને વધુ લેટ ફી ભરવાના કેસમાં દંડની માત્રા વધશે એવો ઉલ્લેખ કરાયો છે. વિદ્યાર્થીઓમાં મુંબઈ યુનિવર્સિટીની આ માગણીને લઈને રોષ જોવા મળે છે ત્યારે વિદ્યાર્થી યુનિયન દ્વારા આનો વિરોધ પણ થઈ રહ્યો છે.
લૉ સ્ટુડન્ટ કાઉન્સિલના પ્રેસિડન્ટ સચિન પવારે જણાવ્યું હતું કે જ્યારે કોઈ પરીક્ષા લેવાઈ જ નથી તો વિદ્યાર્થીઓ પાસેથી પૈસા કેમ માગવામાં આવી રહ્યા છે? આ ખોટું છે. અત્યારે તમામ લોકો લૉકડાઉનના કારણે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, આગામી વર્ષની ફીમાં યુનિવર્સિટીએ કોઈ રાહત આપી નથી અને હવે પરીક્ષા લીધા વગર જ ફી માગી રહી છે. પવારે જણાવ્યું હતું કે તેમના ગ્રુપ દ્વારા ગવર્નરને એક પત્ર લખીને ફીમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી છે.
આ બાબતે મુંબઈ યુનિવર્સિટીના બોર્ડ ઑફ એક્ઝામિનેશન ઍન્ડ ઇવૅલ્યુએશનના ડિરેક્ટર વિનોદ પાટીલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમણે કોઈ ઉત્તર આપ્યો નહોતો.